બાહુબલી શાહના વચગાળાના જામીન લંબાવાયા

Wednesday 04th June 2025 06:12 EDT
 
 

અમદાવાદઃ શહેરથી પ્રકાશિત થતા ગુજરાત સમાચાર દૈનિકના મેનેજિંગ ડિરેક્ટર બાહુબલીભાઈ શાહના વચગાળાના જામીન 10 જૂન સુધી લંબાવવાનો આદેશ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ કે.એમ. સોજિત્રાએ કર્યો છે. બાહુબલીભાઈ શાહના વચગાળાના જામીન પૂરા થતા હોવાથી તેમના તરફથી મેડિકલ ગ્રાઉન્ડ પર જામીનના દિવસો વધારવા માગ કરાઈ હતી. જેમાં ઈડી તરફે વાંધો ન હોવાનું જણાવાતાં 10 જૂન સુધી બાહુબલી શાહના જામીન લંબાવાયા છે.
આવકવેરા વિભાગના દરોડા બાદ 14 મેએ બાહુબલી શાહની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરાઈ હતી. તે સમયે અચાનક જ તેમની તબિયત બગડતાં પહેલા વી.એસ. હોસ્પિટલ અને બાદમાં ઝાયડસ હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરાયા હતા. કોર્ટ સમક્ષ જ્યારે પ્રોડક્શન રિપોર્ટ રજૂ થયો ત્યારે એવી રજૂઆત થયેલી કે તેઓને બાયપાસ સર્જરી કરાયેલી છે. ઉપરાંત બ્રેઇન સ્ટ્રોક આવેલો છે તેમજ તેમની તબિયત અત્યંત નાજુક હોવાથી હાલમાં તેમની પૂછપરછ થઈ શકે તેમ નથી. આ ઉપરાંત તેઓ દ્વારા એવી રજૂઆત કરાઈ હતી કે કોર્ટ જે પણ કડકમાં કડક શરત લાદે તે શરતોનું પાલન કરવા તૈયાર છે, તેમજ તપાસમાં પણ સંપૂર્ણપણે સહકાર આપવા તૈયાર છે. આથી આરોગ્યના આધારે વચગાળાના જામીન આપવા જોઈએ. ત્યારબાદ ઈડીએ વાંધો ન લેતાં તેમના 31 મે સુધીના વચગાળાના જામીન કોર્ટે ગ્રાહ્ય રાખ્યા હતા.


comments powered by Disqus