ભારત ન્યુક્લિયર બ્લેકમેઇલથી ગભરાતું નથીઃ એસ. જયશંકર

Wednesday 04th June 2025 06:12 EDT
 
 

વડોદરાઃ પારૂલ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય દીક્ષાંત સમારોહ યોજાયો, જેમાં મુખ્ય અતિથિ તરીકે વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે, પહલગામમાં જે થયું તે ધાર્મિક મતભેદ ઊભું કરવાનું કાવતરું હતું. ભારત ન્યુક્લિયર બ્લેકમેઇલથી ગભરાતું નથી. રાષ્ટ્રની સુરક્ષા એ ભારતની પ્રાથમિકતા છે. હવે સમય બદલાઈ ગયો છે. આતંકીઓને સ્પોન્સર કરનારાઓએ કિંમત ચૂકવવી પડશે.
યુનિવર્સિટી દ્વારા ફોરેન નેશનલ ગ્રેજ્યુએટ્સ માટે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ વાસ્તવિક સમસ્યા પર ધ્યાન આપે તે જરૂરી છે. આતંકવાદ સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દો છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ટૂરિઝમ ઇકોનોમીને નુકસાન પહોંચાડવા અને ધાર્મિક મતભેદ પેદા કરવા લોકોની હત્યા કરાઈ હતી. જેનો ઉદાહરણરૂપ જવાબ આપતાં બહાવલપુર અને મુરીદકેમાં આતંકવાદી કમાન્ડ સેન્ટરનો નાશ કરાયો છે. આતંકીઓને પોષનારા લોકોએ ભારે કિંમત ચૂકવવી જ પડશે તે સ્પષ્ટ છે. હવે સમય બદલાયો છે અને હવે અમારો નિર્ધાર વધુ મક્કમ છે. આતંકવાદના અડ્ડાને છોડાશે નહીં. ભારતની ઝીરો ટોલરન્સની નીતિ છે અને તે દેશની એક્શનમાં જોવા મળે છે. અમે ન્યુક્લિયર બ્લેકમેઇલને ગણકારીશું નહીં અને દેશહિતમાં પગલાં ભરાશે. અમે પહલગામ હુમલાનો જડબાતોડ જવાબ આપીને આતંકવાદ સામે રાઇટ ટુ ડિફેન્ડનો અભિગમ દર્શાવ્યો છે.


comments powered by Disqus