લગ્નેતર પ્રેમને પૂર્ણ કરવા પ્રેમીપંખીડાંએ કરી આધેડની હત્યા

Wednesday 04th June 2025 07:02 EDT
 
 

સિદ્ધપુરઃ પાટણના સાંતલપુર તાલુકાના જાખોત્રા ગામેથી ગીતાબહેન સુરેશભાઈ આહિર (આરોપી પ્રેમિકા) ઘરેથી ભાગી જતાં પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી. આ દરમિયાન ગામમાં આવેલી સુતારકી તલાવડી પાસેથી અર્ધબળેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો, જેના પર મહિલાનો ચણિયો અને પગમાં ઝાંઝરી હોવાથી આ લાશ તેમની ભાગેલી વહુની હોવાનું માની લેવાયું હતું. જો કે ઘરે લાવી કપડાં બદલવા જતાં લાશ મહિલાની નહીં, પરંતુ પુરુષની હોવાનું જણાતાં તેમણે પોલીસને જાણ કરી હતી.
પોલીસ અધીક્ષક સહિત એલસીબીએ મૃતકની ઓળખ કરતાં તે લાશ 56 વર્ષીય પીપરાળાના હરજીભાઈ સોલંકીની હોવાનું જણાયું હતું. એલસીબી પોલીસે તપાસ હાથ ધરતાં હત્યા થઈ હોવાની શંકા ઊઠી હતી. પોલીસ તપાસમાં પ્રેમીયુગલે જ આખો ખેલ રચ્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે પાલનપુર રેલવે સ્ટેશન પરથી એક યુવક અને યુવતીને ઝડપી લીધાં હતાં. જેમની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે જાખોત્રા ગામેથી ગીતાબહેન આહિર અને ભરતભાઈ આહિરને પ્રેમસંબંધ હોવાથી અને એક જ ગામનાં હોવાથી ઘરે જાણ ન થાય તે માટે મહિલાએ દૃશ્યમ ફિલ્મ જોઈને અજાણ્યા શખ્સની હત્યા કરી લાશને મહિલાનાં કપડાં અને ઘરેણાં પહેરાવી સળગાવી ગીતા આહીરનું મોત થયું હોવાનું દૃશ્ય ખડું કર્યું હતું, જેથી કોઈ પીછો ના કરે. પ્લાન મુજબ હત્યા અને લાશ સળગાવીને ભાગતાં ભાગતાં પાલનપુર રેલવે સ્ટેશન પહોંચતાં જ પાટણ પોલીસે તેમને ઝડપી પાડી હત્યાનો ભેદ ઊકેલી દીધો હતો.


comments powered by Disqus