અમરેલીઃ સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં આવેલા એક સેવા સહકારી મંડળી સને 1995માં ફડચામાં ગયેલી હતી અને આ જીરા ગામમાં 1400 જેટલા ખેડૂત ખાતેદારો છે. તે પૈકી 300 જેટલા ખેડૂતોના બોજા આ ફડચામાં ગયેલી આ સેવા સહકારી મંડળીમાં હતા. જે ખેડૂતોનો 30 વર્ષથી બોજો બોલતો હોય, તેથી આવા 300 ખેડૂતોને અન્ય બેંકો કે મંડળીઓ તરફથી પાક ધીરાણ મળતું ન હતું. પાક ધીરાણ નહીં મળવાના કારણે જીરા ગામના 300 ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. ત્યારે જીરા ગામના વતની અને હાલ સુરતના ઉદ્યોગપતિ બાબુભાઈ ચોડવડીયા ઉર્ફે જીરાવાળા ખેડૂતોની વહારે આવ્યા હતા અને જીરા ગામના 300 જેટલા ખેડૂતોનું રૂ. 89 લાખના દેવાની રકમ ભરપાઈ કરી દીધી હતી અને 300 જેટલા ખેડૂતોને બોજા મુક્ત કર્યા હતા.
ત્યારે જીરા ગામે બેંકના અધિકારીઓ સાથે અમરેલીના સાંસદ ભરત સુતરિયા, સાવરકુંડલા - લીલિયાના ધારાસભ્ય મહેશ કસવાળાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે ખેડૂતોને ‘નો ડ્યુ સર્ટિફિકેટ’ એનાયત કરવામાં આવ્યા હતા. તે સમયે ખેડૂતો ગળગળા બની ગયેલા હતા.

