આણંદઃ હાલમાં વિશ્વ ઉમિયાધામમાં વિશ્વનું સૌથી ઊંચું મા ઉમિયાનું મંદિર નિર્માણાધીન છે. આ મંદિરના નિર્માણમાં સહભાગી થવા માટે તમામ ઉમિયા પરિવારો અને સનાતન પરિવારોને ઈટદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં "મારી ઈટ માના મંદિરે" નામથી ઈટદાન અભિયાન અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠક 31 જુલાઈ 2025ના રોજ ઉમાભવન, બોરસદ ચોકડી, આણંદ ખાતે યોજાઈ હતી.
બેઠકમાં કેન્દ્રીય સામાજિક સંગઠનના મહામંત્રી સંજયભાઈ પટેલે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. સંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે સંગઠનના હોદ્દેદારોને સંગઠનની જરૂરિયાત વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
કાર્યક્રમમાં સેન્ટ્રલ કમિટીના સભ્ય તરીકે પરેશભાઈ પટેલ અને ભવનભાઈ પટેલને પદભાર આપી સન્માનિત કરાયા હતા. આણંદ જિલ્લાના નવનિયુક્ત પ્રભારી ઇન્દુભાઈ પટેલનું પણ સન્માન કરાયું હતું.
આણંદ જિલ્લા સામાજિક સંગઠનના ચેરમેન તરીકે કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણી મહેન્દ્રભાઈ પટેલને જવાબદારી સોંપાઈ હતી. આણંદ સંગઠનના મહામંત્રી મણિભાઈ પટેલને પદભાર આપી સન્માનિત કરાયા હતા. આણંદ યુવા સંગઠનના નવનિયુક્ત પ્રમુખ વસંતભાઈ અને ગૌતમકુમારનું ખેસ ઓઢાડી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં 250થી વધુ ઉમાસેવકો હાજર રહ્યા હતા.