થરાદઃ તાલુકાના સવપુરા ગામે નર્મદા વિભાગ હેઠળની ભડોદરથી ભોરોલ જતી ડિસ્ટ્રિબ્યુટરી કેનાલમાં ભંગાણ સર્જાતાં ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેનાલના નાળાનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરાયું ન હોવા છતાં વરસાદી પાણીનો ભારે પ્રવાહ કેનાલમાં છોડાતાં ભંગાણ સર્જાયું હતું. જેના કારણે કેનાલનું પાણી નજીકનાં ખેતરોમાં ફરી વળતાં અંદાજે 30થી વધુ એકર ખેતીની જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મગફળી અને બાજરી સહિતના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જ્યારે અનેક ખેડૂતોના ખેતરમાં આવેલાં રહેઠાણો અને ઓરડાઓમાં પણ પાણી ઘૂસી જતાં ઘરવખરીને નુકસાન થયું છે.
આ સમગ્ર મામલે જ્યારે નર્મદા વિભાગના સંબંધિત અધિકારી હઠીલાભાઈએ જણાવ્યું હતું કે, સંબંધિત એજન્સીને બેથી ત્રણ વખત નોટિસ આપી કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી. હવે એજન્સીએ સમયસર કામ પૂર્ણ ન કર્યું હોય તો તેમાં વિભાગની કોઈ ભૂલ નથી.
બીજી તરફ કામગીરી સંભાળનારા વ્રજ કન્સ્ટ્રક્શન એજન્સીના કોન્ટ્રાક્ટર હરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેમને આ કામગીરીનો વર્કઓર્ડર મે મહિનામાં મળ્યો હતો. ઉપરાંત વિસ્તારમાં ભૂગર્ભજળનું સ્તર ઊંચું હોવાથી નાળાની કામગીરીમાં તકનિકી મુશ્કેલીઓ સર્જાતી હતી, જેના કારણે કામમાં વિલંબ થયો હતો.

