દાનચોરી કેસમાં નવી SIT બે અઠવાડિયામાં રિપોર્ટ સોંપે: SC

Wednesday 29th July 2026 04:04 EDT
 
 

નવી દિલ્હીઃ અયોધ્યા રામમંદિર દાનચોરી કેસમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાઈ. CJI સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચ સમક્ષ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા દલીલો કરાઈ હતી. રાજ્ય સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નવી સીટની રચના કરાઈ છે. જેમાં લખનઉ રેન્જના પોલીસવડા IG કિરણ એસ. ને સીટનાં વડા બનાવાયા છે.
ત્રણ સભ્યોની સીટમાં કિરણ એસ. ઉપરાંત બે સિનિયર આઇપીએસ અધિકારીઓમાં DIG સોમેન બર્મા અને અયોધ્યાના SSP ગૌરવ ગ્રોવરને સામેલ કરાયા છે. કોર્ટે આ પછી કેસની વધુ સુનાવણી બે અઠવાડિયાં પછી રાખવાની જાહેરાત કરી હતી. આ સીટનેતેની તપાસનો સ્ટેટસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવા ફરમાન કરાયું છે. કોર્ટે કહ્યું કે, આ સમયે કોર્ટનું પૂરેપૂરું ધ્યાન રામમંદિર દાનચોરીની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરવા પર છે. આપણે ઝડપથી, નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની છે. સુનાવણી વખતે એક અરજદાર વકીલે માગણી રાખી હતી કે, રામમંદિર ટ્રસ્ટને મળેલી તમામ રસીદોને વિસ્તાર મુજબ વેબસાઇટ પર જાહેરમાં મુકાવી જોઈએ, જેથી લોકોને તેની જાણકારી મળી શકે. દેશભરથી લોકોએ હજારો રૂપિયાનું દાન આપ્યું છે. જેની વિગતો ટ્રસ્ટની વેબસાઇટ પર મૂકવી જોઈએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ સંવેદનશીલ કેસને સનસનીખેજ બનાવવાની જરૂર નથી.


comments powered by Disqus