આણંદઃ કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મિકેનિકના ઢીંચણને જોડતા હાડકામાં કેન્સરની ગાંઠને દૂર કરીને ઢીંચણના ફ્રેક્ચર માટે મેગા પ્રોસ્થેસિસ ઇમ્પ્લાન્ટ મૂકવાની અત્યંત જટિલ સર્જરી કરીને દર્દીને સંપૂર્ણ સારવારથી ચાલતા કર્યા. થોડા સમય અગાઉ દર્દીની અમદાવાદ હોસ્પિટલમાં બાયોપ્સી કરાઈ હતી, જેમાં તેના ઢીંચણના જોડાણના હાડકામાં કેન્સરની ગાંઠ હોવાનું માલૂમ પડ્યું હતું.
અમદાવાદમાં નિદાન બાદ દર્દી શ્રીકૃષ્ણ હોસ્પિટલના કેન્સર અને ઓર્થોપેડિક વિભાગમાં નિદાન માટે આવ્યા હતા, જ્યાં કેન્સર સર્જન ડો. જી.સી. રઘુનંદને દર્દીના બાયોપ્સી રિપોર્ટનું નિરીક્ષણ કરી દર્દીની સર્જરી કરવાનું નક્કી કર્યું હતું. મલ્ટિ સ્પેશિયાલિટી ટીમ ઓન્કોલોજી, ઓર્થોપેડિક અને એનેસ્થેસિયા વિભાગની મદદથી ઢીંચણને જોડતા હાડકામાં કેન્સરની ગાંઠને સર્જરી કરીને દૂર કરી હતી. ત્યારબાદ ટીમ દ્વારા ઢીંચણના ફ્રેક્ચર માટે મેગા પ્રોસ્થેસિસ ઇમ્પ્લાન્ટ કરાયું હતું. આ સર્જરી આયુષ્માન યોજના અંતર્ગત નિઃશુલ્ક રીતે કરાઈ હતી.

