મુંદ્રાઃ કચ્છના મુંદ્રા તાલુકાના ટુંડામાં અદાણી ફાઉન્ડેશને એક ઐતિહાસિક પર્યાવરણલક્ષી પહેલ કરતાં ગામના નદીકાંઠે 10 હજાર વૃક્ષ વાવીને ‘અદાણી વન’નું નિર્માણ કર્યું છે. આ પ્રોજેક્ટ અદાણી ફાઉન્ડેશન અને મુંદ્રા પેટ્રોકેમના સહયોગથી મિયાવાકી પદ્ધતિ અપનાવીને અમલમાં મુકાયો છે. આ પ્રસંગે અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહે જણાવ્યું કે, ‘ટુંડામાં આ વનની શરૂઆત અમારા માટે ગૌરવની ક્ષણ છે. ગ્રામજનોના સહયોગથી આવાં વૃક્ષમંદિરો ઊભા કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. આ જંગલ ટુંડાની શોભામાં વધારો કરશે અને પર્યાવરણ તથા જૈવવિવિધતાનાં સંરક્ષણમાં મહત્ત્વપૂર્ણ ફાળો આપશે.’
નદીકાંઠે જમીન સફાઈ બાદ આ વિસ્તારમાં 37થી વધુ પ્રકારની પ્રાદેશિક વનસ્પતિઓનું વાવેતર કરાયું છે, જેમાં વૃક્ષો, વેલા, ફળનાં ઝાડ, ફૂલોના છોડ તેમજ આયુર્વેદિક વનસ્પતિનો સમાવેશ છે. ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, વૈજ્ઞાનિક ખેડ અને આગામી બે વર્ષ સુધી સંભાળના કારણે વૃક્ષોનો ઝડપી અને સ્વસ્થ વિકાસ સુનિશ્ચિત થશે.

