સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ

Wednesday 01st April 2026 06:17 EDT
 
 

અમદાવાદઃ રાજ્ય ચૂંટણીપંચે 1 એપ્રિલે ફાઇનલ મતદાર યાદી જાહેર કરવા નક્કી કર્યું છે, જેના પગલે 2 એપ્રિલ પછી ગમે તે ઘડીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની શક્યતા છે. આ ઉપરાંત 31 માર્ચે વડાપ્રધાન મોદીની ગુજરાતની એક દિવસીય મુલાકાતને પણ રાજકીય દૃષ્ટિએ સૂચક માનવામાં આવી છે.
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 290 તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા રાજ્ય ચૂંટણીપંચે તૈયારી આરંભી છે. રાજ્ય ચૂંટણીપંચે બધા જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે કે, 1 એપ્રિલે ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. જે બાદ પણ મતદારો નામ ઉમેરો કે સુધારો વધારો પણ કરાવી શકશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરની કામગીરી વિવાદાસ્પદ રહી છે, ત્યારે હવે ફાઇનલ મતદાર યાદીથી 50 લાખથી વધુ મતદારો ઘટ્યા હોવાનું અનુમાન છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, મતદારોનો મતાધિકાર છીનવવા ભાજપ સમર્થકોએ બારોબાર ખોટાં ફોર્મ ભર્યાં હતાં. આખરે રાજ્ય ચૂંટણીપંચે અમુક જ ફોર્મ સ્વીકાર્યા હતાં.

ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચનાઃ 19 સભ્યોનો સમાવેશ

ગાંધીનગરઃ ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયાં છે. ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની નવી રચના જાહેર કરાઈ છે, જેમાં રાજ્યના ટોચના નેતાઓ અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાયું છે. આ નવી સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગત્યના નેતાઓનો સમાવેશ કરાયો છે. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ અને સંગઠનના અનુભવી કાર્યકરોને પણ સ્થાન અપાયું છે.
તમામ વિસ્તાર-મોરચાના પ્રતિનિધિઓને સ્થાન
સમિતિમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને જિલ્લા સ્તરના પ્રતિનિધિઓને પણ સ્થાન અપાયું છે, જેથી દરેક વિસ્તારથી પ્રતિનિધિત્વ મળી રહે. ખાસ કરીને મહિલા અને અનુસૂચિત જાતિના નેતાઓને પણ સમિતિમાં સામેલ કરીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે.

ચૂંટણી જાહેર થયા પહેલાં જગદીશ વિશ્વકર્માની ટિફિન બેઠકો

1 એપ્રિલે રાજ્ય ચૂંટણીપંચ આખરી મતદાર યાદી જાહેર કરશે, જે બાદ ગણતરીના કલાકોમાં જ પાલિકા અને પંચાયતોની ચૂંટણી જાહેર થઈ જશે. તે પહેલાં ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રચાર અને સંપર્કકાર્ય તેજ કર્યાં છે. અગાઉ સૌરાષ્ટ્ર બાદ હવે તેમણે ઉત્તર ગુજરાતમાં પ્રવાસ શરૂ કર્યો છે. અહીં તેમણે ટિફિન બેઠક કરી હતી, તથા પક્ષના સિનિયર વયોવૃદ્ધ આગેવાનો સાથે સંવાદનો કાર્યક્રમ યોજ્યો હતો. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપની તૈયારી તેજ બની છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ‘નો-રિપીટ’ થિયરી!: શું મળશે સફળતા?

અમદાવાદઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. જો કે આ વખતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે માર્ગદર્શિકા બનાવવાનું નક્કી કરાયું છે. જો આ નિયમના આધારે ટિકિટ અપાશે તો ભાજપના ઘણા દિગ્ગજોને ઘરે બેસવાનો વારો આવે એવી પરિસ્થિતિ છે.

3 દાયકાથી સત્તા ભોગવતા ભાજપ અને જગદીશ વિશ્વકર્મા માટે આ ચૂંટણી અગત્યની છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આ પહેલી ચૂંટણી છે. ગુજરાતના ભાજપ સંગઠનમાં ફેરફાર કરી જૂના જોગીઓને પણ તક અપાઈ છે, ત્યારે હવે આ ચૂંટણી વિશ્વકર્માનું કદ સાબિત કરશે. સૂત્રોના મતે આ વખતે ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વય હોય તેમને ટિકિટ નહીં મળે. આ ઉપરાંત 3 ટર્મ ચૂંટણી જીતનારા કે લડનારા આગેવાનોને આરામ અપાશે. એન્ટિ ઇન્કમ્બન્સીની સાથેસાથે યુવા ચહેરાઓને તક આપવાના ભાગરૂપે ભાજપે ‘નો-રિપીટ’ થિયરી લાગુ કરવાનું મન બનાવ્યું છે. ભાજપની ટિકિટ મેળવવા પક્ષ પ્રત્યેની વફાદારી અને અનુભવ પણ જોવાશે. ઓછામાં ઓછાં 9 વર્ષ પક્ષમાં સક્રિય સદસ્યેને જ ચૂંટણી મેદાને ઉતારવા પ્રાથમિકતા દાખવી છે. 

ગાંધીનગરઃ ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા મહત્ત્વપૂર્ણ પગલાં લેવાયાં છે. ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિની નવી રચના જાહેર કરાઈ છે, જેમાં રાજ્યના ટોચના નેતાઓ અને અનુભવી ચહેરાઓને સ્થાન અપાયું છે. આ નવી સમિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગત્યના નેતાઓનો સમાવેશ કરાયો છે. સાથે જ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પૂર્વ મંત્રીઓ અને સંગઠનના અનુભવી કાર્યકરોને પણ સ્થાન અપાયું છે.તમામ વિસ્તાર-મોરચાના પ્રતિનિધિઓને સ્થાનસમિતિમાં રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો અને જિલ્લા સ્તરના પ્રતિનિધિઓને પણ સ્થાન અપાયું છે, જેથી દરેક વિસ્તારથી પ્રતિનિધિત્વ મળી રહે. ખાસ કરીને મહિલા અને અનુસૂચિત જાતિના નેતાઓને પણ સમિતિમાં સામેલ કરીને સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે.


comments powered by Disqus