મુંબઈઃ ભાયખલામાં મોહર્રમના જુલૂસ દરમિયાન લોકોને ઝેરી ઝિન્ક ફોસ્ફાઇડ આપનારા આરોપી ફૈયાઝ નિસાર હુસૈનને પોલીસે ઝડપી લીધો. પોલીસની પૂછપરછમાં તેણે કબૂલાત કરી કે, તેનો પ્લાન આ કેપ્સ્યૂલ દ્વારા કમસેકમ 15 હજાર લોકોને મારવાનો હતો.
પોલીસના જણાવ્યા મુજબ ફૈયાઝ પુણેનો રહેવાસી છે તેણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે. તે ભૂતકાળમાં ઇરાન અને ઇરાકમાં કામ કરી ચૂક્યો છે. તેની માતા અને બહેન હાલમાં ઈરાનમાં રહે છે અને હાલ તે તેની પત્નીથી અલગ રહે છે. તેણે એક વર્ષમાં 19 વખત વિદેશ પ્રવાસ કર્યો છે, જેથી આ કાવતરા પાછળ કોઈ આતંકી નેટવર્કનો હાથ છે કે કેમ તે એન્ગલથી પણ તપાસ થઈ રહી છે. ફૈયાઝ મૂળ પેઇન્ટિંગનો ધંધો કરે છે અને તેની પાસે આવી કેપ્સ્યૂલ રાખવાનું કે વેચવાનું કોઈ પ્રકારનું લાઇસન્સ પણ નથી.
જુલૂસ દરમિયાન ત્રણ મહિલા વોલેન્ટિયરે ફૈયાઝને લોકોમાં દવાઓ વેચતો જોયો હતો અને આ જ મહિલાઓની સતર્કતાના કારણે ફૈયાઝ
ઝડપાઈ ગયો હતો. આ મહિલાઓને ફૈયાઝને અટકાવતાં તેણે આ દવા ઇમ્યુન બૂસ્ટર ડોઝ હોવાનું જણાવ્યું હતું.
જો કે મહિલાને શંકા જતાં તેણે કેપ્સ્યૂલ ખોલી સૂંઘી જોઈ હતી, જેમાં રહેલો પાવડર શંકાસ્પદ જણાતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે લાઉડ સ્પીકર દ્વારા જુલૂસમાં એનાઉન્સ કરાવ્યું હતું કે કોઈ આવી કેપ્સ્યૂલ ખાશો નહીં. દરમિયાન આ ગોળી ખાધા બાદ આશરે
11 લોકોને ઝેરી અસર થયાનું જાણવા મળ્યું છે.

