અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર મંગળવારે રાત્રે એક વિમાન દ્વારા ટેક્સિગ દરમિયાન ખોટો માર્ગ અપનાવવાથી બે પેસેન્જર વિમાનો એક જ ટેક્સીવે પર સામસામે આવી ગયા હતા. જેને લઈને બંને ફ્લાઈટના મળીને 300થી વધુ મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવનું જોખમ સર્જાયું હતું. જો કે પાઇલટ અને એર ટ્રાફિક કંટ્રોલની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. મુંબઈથી અમદાવાદ આવેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ લેન્ડિંગ બાદ પાર્કિંગ વિસ્તાર તરફ જઈ રહી હતી.
આ દરમિયાન વિમાન નિર્ધારિત માર્ગને બદલે અન્ય ટેક્સીવે પર પહોંચી ગયું હતું. તે જ સમયે અમદાવાદથી મુંબઈ જવા માટે રનવે તરફ આગળ વધી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ સામે આવી જતાં એરપોર્ટ પર ક્ષણિક તંગદિલી સર્જાઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને વિમાનો સુરક્ષિત અંતરે રોકી દેવામાં આવ્યાં હતાં અને કોઈ પણ પ્રકારની ટક્કર કે નુકસાનની ઘટના બની નહોતી. ત્યારબાદ ખોટા માર્ગે પહોંચી ગયેલા વિમાનને પાછું યોગ્ય સ્થાન તરફ ખસેડાયું હતું. ઘટનાના પગલે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રએ ઘટનાની તપાસ શરૂ કરી છે. એવિએશન નિષ્ણાતોના મતે એરપોર્ટ પર વિમાનોની અવરજવર દરમિયાન પાઇલટ, એર ટ્રાફિક કંટ્રોલ અને ગ્રાઉન્ડ સ્ટાફ વચ્ચેનું સંકલન ખૂબ મહત્ત્વનું હોય છે. અમદાવાદ એરપોર્ટ પર બનેલી આ ઘટના પછી ટેક્સીવે મેનેજમેન્ટ અને સલામતી પ્રક્રિયાઓની સમીક્ષા કરવામાં આવે તેવી શક્યતા છે.

