અમદાવાદઃ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમના 64મા જન્મદિવસે ‘વંદે ભારતમ’ નામની એક રાષ્ટ્રીય પહેલની જાહેરાત કરી છે, જેનો હેતુ દેશમાંથી ઇનોવેટર્સ, ઉદ્યોગ સાહસિકો અને પ્રોબ્લેમ સોલ્વર્સને શોધીને સપોર્ટ આપવાનો છે. આ પહેલનો મુખ્ય હેતુ મોટા અને પ્રચલિત સ્ટાર્ટઅપ હબની બહાર જઈને વિવિધ ક્ષેત્રો અને સમુદાયોથી સાચા ઉદ્યોગ સાહસિક ટેલેન્ટને શોધીને તક પૂરી પાડવાનો છે.
વંદે ભારતમ માટેની અરજીઓ 24 જૂનથી vandebharatam.org પર મળવાની શરૂ થઈ છે. આ પ્રોગ્રામ તમામ 36 રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને 800થી વધુ જિલ્લામાં અનેક ભારતીય ભાષાઓમાં પહોંચશે. તે તમામ ઉંમર અને બેકગ્રાઉન્ડના લોકો માટે ખુલ્લો છે, જેથી ભારતના પરંપરાગત સ્ટાર્ટ-અપ કેન્દ્રોથી આગળ વધીને શ્રેષ્ઠ આઇડિયાઝ અને બિઝનેસ ટેલેન્ટને નેશનલ પ્લેટફોર્મ પર લાવી શકાય. આજે ભારત વિશ્વના અગ્રણી સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં સ્થાન ધરાવે છે. છતાં 80 ટકાથી વધુ સ્ટાર્ટ-અપ ફાઉન્ડર્સ હજુ પણ માત્ર 5 જ શહેરથી આવે છે, જેના લીધે ઘણા ઇનોવેટર્સ યોગ્ય વિઝિબિલિટી, માર્ગદર્શન અને નેટવર્કથી વંચિત રહી જાય છે.
ગૌતમ અદાણીનું નિવેદન
ગૌતમ અદાણીએ કહ્યું કે, ‘જ્યારે મેં મારી સફર શરૂ કરી, ત્યારે મારી પાસે કંઈ જ નહોતું. હું જે કંઈ પણ છું અને મેં જે પણ મેળવ્યું છે તે મને ભારતની આ માટીએ આપ્યું છે. દેશમાં ટેલેન્ટની કમી નથી, પરંતુ તકો હજુ સુધી દેશના દરેક ખૂણે પહોંચી નથી. ‘વંદે ભારતમ' એવા ઇનોવેટર્સ અને ઉદ્યોગસાહસિકોને શોધવાનો અમારો પ્રયાસ છે, જેમના આઇડિયા સાચા અર્થમાં સપોર્ટ અને એક મોટા પ્લેટફોર્મના હકદાર છે.

