જેઠ સુદ પૂનમ (વટ સાવિત્રી પૂર્ણિમા) નિમિત્તે સોમવારે કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્રસમાન ગુજરાતનાં સુપ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર ઊમટ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી અને નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્માસ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરે વહેલી સવારથી જ હજારો માઇભક્તો દર્શનાર્થે પહોંચ્યા હતા. શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણીસંગમ સમાન આ પવિત્ર દિવસે સમગ્ર વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.

