અમદાવાદઃ નવસારી જિલ્લાના ધામણ ગામ સ્થિત ઐતિહાસિક નરસિંહજી મંદિર અને તેની મિલકતો અંગે સાત દાયકાથી ચાલતા વિવાદમાં હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં મહંત ધરમદાસના વારસદારો દ્વારા દાખલ કરાયેલી ત્રણેય અપીલ ફગાવી દીધી છે. હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ 155 પાનાંના વિગતવાર ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું કે, નરસિંહજી મંદિર જાહેર ટ્રસ્ટ છે અને તેની સાથે જોડાયેલી મિલકતો પણ જાહેર ટ્રસ્ટની સંપત્તિ છે. આ સાથે જ સાત દાયકાથી ચાલી આવતા કાનૂની વિવાદનો આખરે અંત આવ્યો છે.
કેસની શરૂઆત વર્ષ 1952માં થઈ હતી, જ્યારે ભક્તોએ ડેપ્યુટી ચેરિટી કમિશનર સમક્ષ અરજી કરીને દાવો કર્યો હતો કે નરસિંહજીની મૂર્તિ જાહેર દેવતા છે, મંદિર જાહેર સ્વરૂપનું છે અને તેની મિલકતો પણ જાહેર ટ્રસ્ટની છે. બીજી તરફ મહંત ધરમદાસજીએ દલીલ કરી હતી કે, નરસિંહજી ભગવાનની મૂર્તિ ખાનગી છે અને તમામ મિલકતો તેમની વ્યક્તિગત માલિકીની છે. જો કે ચેરિટી સત્તાધિકારીઓએ ભક્તોની દલીલ સ્વીકારી હતી.
