નવી દિલ્હીઃ ભારતની મુલાકાતે આવેલા મ્યાનમારના રાષ્ટ્રપતિ યૂ મિન આંગ હ્યાઈગ સોમવારે ભારતના વડાપ્રધાન મોદીને મળ્યા હતા. બંને નેતાઓએ દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા યોજી હતી, જેમાં બંને નેતાઓએ ભારત અને મ્યાનમારના દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત કરવા ભાર મૂક્યો હતો.
બેઠકમાં દ્વિપક્ષીય વેપાર, ઈકોનોમી, ટેકનિકલ સહયોગ અને પરસ્પર સંબંધો સહિત કેટલાંક ક્ષેત્રોમાં સહયોગ વધારવા ભાર મૂકવામાં આવ્યો હતો. મ્યાનમારના રાષ્ટ્રપતિ ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરી હતી.
કયા મુદ્દા પર વાતચીત થઈ?
બંને દેશના વડાઓએ વિકાસ, ભાગીદારી, સુરક્ષા અને સીમા સુરક્ષા અંગે પરસ્પર સહયોગ વધારવાની નેમ વ્યક્ત કરી. આ સાથે વેપાર, રોકાણ અને કનેક્ટિવીટી પર ફોકસ વધારવાનું નક્કી કર્યું છે. પર્યટન પર ભાર મૂકતાં બંને નેતાઓએ પરસ્પર સહયોગ વધારવા વાતચીત કરી હતી.
આ સિવાય શાંતિ અને પ્રગતિ તેમજ સમૃદ્ધિ પર ભાર મૂકતાં ભાગીદારી વધારવા પણ કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ સાથે વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતની નેબરહૂડ ફર્સ્ટ અને એક્ટ ઈસ્ટ નીતિ તેમજ મહાસાગરની નીતિઓ અનુરૂપ મ્યાનમાર વિશ્વાસપાત્ર પડોશી છે. તે વિશ્વસનીય ભાગીદાર અને સંકટ સમયે સૌથી પહેલા મદદ કરનારો દેશ બનશે. મોદીએ મ્યાનમારમાં શાંતિ અને વાતચીતનું સમર્થન કરીને ભારતની તત્પરતા દર્શાવી હતી. જેમાં ફેડરલ શાસન અને આર્થિક વિકાસના અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવશે.

