સુરતઃ વેસુ વિસ્તારમાં આવેલા હેપી એલિગન્સ બિલ્ડિંગમાં બાલમુકુંદ ખૈતાન નામની વ્યક્તિએ 24 ફેબ્રુઆરીએ સાંજે પરિવાર સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. વૈભવ રુંગટા નામના શખ્સની ઉઘરાણીથી ત્રાસીને પરિવારે ઝેરી દવા પી લેતાં બાલમુકુંદ ખૈતાનનું ઘટનાસ્થળે મોત થઈ ગયું હતું, જ્યારે પત્ની અને એક માસૂમ દીકરીનું બીજા દિવસે સવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે બીજી દીકરીનો સદનસીબે બચાવ થયો છે.
પોલીસને ઘટનાસ્થળેથી એક સ્યૂસાઇડ નોટ મળી આવી હતી, જેમાં વૈભવ રુંગટા નામના શખ્સની ઉઘરાણીથી ત્રાસી આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ સ્યૂસાઇડ નોટ પત્નીએ લખી હતી. સામૂહિક આપઘાતની ઘટના વચ્ચે ઘરમાં કલ્પાંત અને શોકનો માહોલ હતો, તેમ છતાં વૈભવ નિર્લજ્જપણે બાલમુકુંદના સસરા સંજય અગ્રવાલની સાથે સોફા પર આરામથી બેસી રહ્યો હતો. જાણે કંઈ બન્યું જ ન હોય એવો ડોળ કરીને તે ત્યાં હાજર રહ્યો અને સમગ્ર સ્થિતિનો તાગ મેળવતો રહ્યો હતો.

