યાત્રાધામ પાવાગઢના વિકાસ માટે રાજ્ય સરકારનો રૂ. 359 કરોડનો માસ્ટર પ્લાન

Wednesday 05th August 2026 08:26 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્ય સરકારે પાવાગઢના સર્વાંગી વિકાસ માટે રૂ. 359 કરોડથી વધુના ખર્ચે મેગા માસ્ટર પ્લાન સાથે અહીં વિકાસકાર્યો અને માળખાકીય સુવિધાઓની શરૂઆત કરી છે. ચાર તબક્કા ધરાવતા મેગા માસ્ટરપ્લાન હેઠળ પાવાગઢમાં મોટાપાયે યાત્રાળુ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિકાસકાર્યો હાથ ધરાયાં છે. જેમાં પ્રથમ અને બીજા તબક્કાનાં કાર્યો પૂર્ણ થઈ ગયાં છે. બે તબક્કામાં શ્રદ્ધાળુઓને રૂ. 121 કરોડની સુવિધાઓ મળશે. અગાઉ મંદિર પરિસર 545 ચોરસ મીટરનું હતું, જે હવે ત્રણ લેવલમાં 2980 ચોરસ મીટર જેટલું વિશાળ થઈ ગયું છે. આ પરિસરમાં પાથ-વે પર વીજળીકરણ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત માંચી ચોકથી મંદિર પરિસર સુધી સીડીઓના નવીનીકરણ-વિસ્તૃતીકરણ અંતર્ગત 3.01 કિલોમીટર પહોળા પાથ-વે સાથે કુલ 2374 સીડીઓનું નિર્માણ કરાયું છે.
પાવાગઢના મહાકાળી ધામમાં ત્રીજા અને ચોથા તબક્કામાં રૂ. 238 કરોડ ખર્ચાશે. રૂ. 13.68 કરોડની જોગવાઈ ધરાવતા ‘ફેઝ-3-એ’માં માંચી ચોકમાં મલ્ટિલેવલ પાર્કિંગનું કામ પૂર્ણ થયું છે. ‘ફેઝ-3બી’માં રૂ. 135.19 કરોડના ખર્ચે ચાંપાનેરમાં આંતરિક-બાહ્ય રસ્તાઓ, પાથ-વે, ઇલેક્ટ્રિફિકેશન, પ્લાન્ટેશન, 600થી વધુ સ્કૂટર-કાર માટે વિશાળ પાર્કિંગ, બસ સુવિધાનાં કાર્યો અને આ ઉપરાંત વડા તળાવ પરિક્ષેત્રમાં ઉદ્યાન, ઘાટ, વોટર જેટી, ફૂટઓવર બ્રિજ, થીમ પાર્ક, ચિલ્ડ્રન પ્લે એરિયા, એક્ટિવિટી એરિયા, બર્ડ વોચ ટાવર, ક્રાફ્ટ સ્ટોલ અને 500 કાર પાર્કિંગની સુવિધા સામેલ હશે.
4 વર્ષમાં શ્રદ્ધાળુઓની સંખ્યા બમણી થઈ
18 જૂન 2026ના રોજ ‘પાવાગઢ પુનરોદ્ધાર’ને 4 વર્ષ પૂર્ણ થયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 18 જૂન 2022ના રોજ પાવાગઢના નવનિર્મિત શિખર પર 500 વર્ષ બાદ કળશ તથા ધ્વજારોહણ કર્યું હતું ત્યારબાદ એટલે કે વર્ષ 2022-23થી 18 જૂન 2026 સુધી 3.84 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ પાવાગઢની યાત્રાએ પહોંચ્યા. આ પહેલાં 2016-17થી 22 સુધી 2.32 કરોડ શ્રદ્ધાળુએ પાવાગઢની યાત્રા કરી હતી.


comments powered by Disqus