કેરાઃ નવચેતન અંધજન મંડળ - માધાપર તથા ફ્રેન્ડ્સ ઓફ કેરા યુકે છેલ્લાં 20 વર્ષથી દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ માટે દિવ્યાંગ રમતોત્સવ, ચેરિટી, અવેરનેસ વોક અને બાળમેળા જેવી પ્રવૃત્તિ કરે છે. અત્યાર સુધી આ માધ્યમથી 38 હજાર બાળકને મદદ પહોંચાડાયાનું જાહેર કરાયું હતું.
નવચેતન સુવર્ણ જયંતીના ભાગરૂપે સંસ્થા દ્વારા આયોજિત અને ફ્રેન્ડ્સ ઓફ કેરા યુકેના આર્થિક સહયોગથી કેરા ખાતે દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરાયું હતું. જિલ્લામાં દિવ્યાંગતા ક્ષેત્રે કાર્ય કરતી 20 સંસ્થાનાં 672 અને 60 ક્લસ્ટરનાં 600 બાળક મળી 1,272 દિવ્યાંગ ખેલાડીએ વિવિધ સપર્ધામાં ભાગ લીધો હતો. ફ્રેન્ડ્સ ઓફ કેરાના ચેરમેન કિશોરભાઈ નારદાણી, હીરાલાલ ચાવલા, લાલજીભાઈ પ્રજાપતિ, યુકેના દિનેશભાઈ ભુવા, મનજીભાઈ ગામી પ્રકાશભાઈ નારદાણી, વેલજીભાઈ વેકરિયા, આશિષભાઈ હાલાઈ, અરવિંદભાઈ હાલાઈ, નારદાણી પરિવારના સભ્યો, કેર એજ્યુકેશન યુકેના લાલજીભાઈ વરસાણી, તારકભાઈ લુહાર, સહયોગી કેરા કુંદનપર લેઉવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ સહિતની સાથે દિવ્યાંગ બાળકો તેમજ મહેમાનોએ રિબિન છોડી માર્ચપાસ્ટની શરૂઆત કરી હતી.

