રાજકોટઃ રાજકોટ ચાંદીનું હબ ગણાય છે. એકલા સામાકાંઠે જ 1200થી વધુ વેપારીઓ છે. ચાંદીના ભાવમાં પાછલા કેટલાક સમયથી આવેલા ભારે ઉછાળાથી વેપારીઓની કમર તૂટી ગઈ છે. આ જ કારણ છે કે હાલમાં ધંધો ઠપ થઈ ગયો છે.
ચાંદીના ભાવમાં અકલ્પનીય ઉછાળાને કારણે રાજકોટના ચાંદીના વેપારીઓને અંદાજે રૂ. 3600 કરોડની ખોટ ગઈ હતી. સામાકાંઠાના અડધોઅડધ વેપારીઓ મુખ્યત્વે કાનપુર, બનારસ અને ઇન્દોરના વેપારીઓ સાથે કામ કરે છે. રાજકોટ ચાંદી ટ્રેડિંગનું હબ માનવામાં આવે છે, ત્યારે આ પ્રકારની લાંબી સ્થિતિથી વધુ નુકસાન જવાની પૂરી શક્યતા છે.
રાજકોટના ઘણા વેપારીએ ભાવમાં ઉછાળાને કારણે કાનપુર, બનારસ અને ઇન્દોરના વેપારીઓ સાથે સેટલમેન્ટ કરવું પડ્યું છે. જેમાં રાજકોટના વેપારીઓને મોટો ફટકો પડ્યો છે. આ પૈકી ઘણા વેપારીઓએ ધંધો હાલ પૂરતો સમેટી લીધો છે અને સેટલમેન્ટ મુજબ રકમ સૂચવવા મથી રહ્યા છે.

