નડિયાદસ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં શનિવારે પોષી પૂનમના પાવન પર્વે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો. રાજ્યભરથી ઊમટેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં ‘જય મહારાજ’ના ગગનભેદી નાદ સાથે હજારો મણ બોર ઉછાળ્યા હતા. આ ઉત્સવમાં દિવ્ય જ્યોતનાં દર્શન અને માનતા પૂરી કરવાનું વિશેષ મહત્ત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની કતારો લાગી હતી.

