અમરેલીઃ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે અમરેલી જિલ્લામાં વિકાસનાં કાર્યોને વેગ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા હતા. જેમના દ્વારા શિક્ષણથી લઈને જળસંચય સુધીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત દ્વારા અમરેલીના વિકાસનો રોડમેપ તૈયાર કરાયો છે.
દેવકા વિદ્યાપીઠમાં શિક્ષણ અને સુવિધાનો સંગમ
રાજુલાના દેવકા ખાતે ભાગવત કથાકાર રમેશ ઓઝા સંચાલિત દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રીના હસ્તે મહત્ત્વપૂર્ણ લોકાર્પણ કરવામાં આવ્યાં. જેમાં 1100 બેડની સુવિધા ધરાવતી ગર્લ્સ હોસ્ટેલ નૂતન કન્યા છાત્રાલય અને 580 વિદ્યાર્થિનીની ક્ષમતા ધરાવતું ભોજનાલયનો સમાવેશ થાય છે.
કન્યા કેળવણીનો પાયો કોણે નાખ્યો?
આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ગુજરાતમાં કન્યા કેળવણી માટેનો મજબૂત પાયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે નાખ્યો હતો. સામાન્ય અને ગરીબ પરિવારના દીકરા-દીકરીઓ ભણી ગણીને આગળ વધી શકે તે પ્રકારની શિક્ષણ વ્યવસ્થા કરી છે.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સફળગાથા પર પ્રકાશ પાડતાં મુખ્ય પ્રધાને ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવને પરિણામે ડ્રોપ આઉટ રેશીયો ઘટીને 2 ટકા જેટલો નીચે આવ્યો છે.

