નવી દિલ્હી: ગુજરાતના ઉદ્યોગપતિ અને સાંડેસરા બંધુ તરીકે ઓળખાતા ચેતન સાંડેસરા અને નીતિન સાંડેસરાને સુપ્રીમ કોર્ટથી ફરી મોટી રાહત મળી. સુપ્રીમ કોર્ટે સેબીનો ઊધડો લેતાં કહ્યું છે કે, સાંડેસરા બંધુઓ તેમની સામેના મામલામાં સેટલમેન્ટ માટે રૂ. 5100 કરોડની રકમ જમા કરાવી ચૂક્યા હોવા છતાં તેમની સામે તપાસ કેમ કરાઈ રહી છે? અમે આ મામલાને બંધ કરવા આદેશ આપ્યો છતાં જો સેબી તપાસ કરતી રહેશે તો અમે આકરાં પગલાં લઈશું.
વડોદરાની સ્ટર્લિંગ બાયોટેક લિ. એસબીએલ અને તેના પ્રમોટર્સ ચેતન અને નીતિન સાંડસરા સામે બેન્કો સાથે છેતરપિંડીના કેસમાં સેટલમેન્ટ કરાયું હતું. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જે.કે. મહેશ્વરી અને એ.એસ. ચંદુરકરની બેંચે ગુરુવારે સેબીનો ઉધડો લેતાં કહ્યું હતું કે, ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે સાંડેસરા બ્રધર્સ સામે ચાલી રહેલી તમામ કાર્યવાહીને બંધ કરી દેવાય, કેમ કે સેટલમેન્ટ મુજબ સાંડેસરા બ્રધર્સે સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રી સમક્ષ રૂ. 5100 કરોડ જમા કરાવી દીધા છે. સાંડેસરા બ્રધર્સ તરફથી હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કોર્ટને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં સેબી આ મામલામાં તપાસ બંધ કરવાની ના પાડી રહી છે, બાદમાં સેબીના વકીલને સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે સાંડેસરા બ્રધર્સ સામે તપાસ રદ કરવાનો આદેશ આપ્યો, છતાં તપાસ થાય તો પગલાં લેવાશે.

