નવી દિલ્હીઃ સોનાની શુદ્ધતામાં ભેળસેળ અને હોલમાર્કનાં ખોટા ઉપયોગને રોકવા માટે સરકાર હોલમાર્કિંગ વ્યવસ્થાને વધુ કડક બનાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત નિયમો હેઠળ હવે દરેક સોનાનાં ઘરેણાંને એક અલગ ઓળખ અપાશે. જે ફક્ત તે જ ઘરેણાં માટે હશે અને ફરી અન્ય કોઈ ઘરેણાં માટે ઉપયોગમાં લઈ શકાશે નહીં. એટલે કે એક યુનિક નંબર અપાશે.
આનાથી ગ્રાહકોને અસલી અને સાચી શુદ્ધતાવાળું સોનું મળવામાં મદદ મળશે. હાલમાં દેશના 400 જિલ્લામાં હોલમાર્ક યુનિક આઇડી (એચયુઆઇડી) સિસ્ટમ અમલમાં છે. જેમાં દરેક ઘરેણાંને એક વિશિષ્ટ નંબર અપાય છે. જો કે સરકારને ફરિયાદો મળી હતી કે, કેટલાક કેસમાં એક જ નંબર અનેક ઘરેણાં માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. તેનાથી ગ્રાહકને જેટલી શુદ્ધતાનું સોનું બતાવાય છે તે અનેક વખત તેટલી શુદ્ધતાનું સોનું હોતું નથી.
