અમદાવાદઃ 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો યથાવત્ રાખ્યો છે. હાઇકોર્ટે દોષિતોની તમામ અપીલ નકારી 38 આરોપીને ફાંસી અને 11ને આજીવન કેદની સજા યથાવત્ રાખી છે. સાથે જ તમામ મૃતકોને રૂ. 10 લાખ, ગંભીર ઇજાગ્રસ્તોને રૂ. 5 લાખ અને સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ. 1 લાખનું વળતર 31 માર્ચ 2027 સુધી ચૂકવવા આદેશ કરાયો છે. ચુકાદા બાદ કોર્ટ પરિસરમાં બંદોબસ્ત વધારાયો હતો. ક્રાઇમબ્રાન્ચના 3 પીઆઇ અને 2 સ્થાનિક પીઆઇને બંદોબસ્તમાં મુકાયા હતા. ઉલ્લેખનીય છે કે, 26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદ શહેરનાં 20 વિસ્તારમાં થયેલા 21 સિરિયલ બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 200થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે 18 ફેબ્રુઆરી 2022ના રોજ દેશના ઇતિહાસમાં પહેલીવાર એકસાથે 38 આરોપીને ફાંસી અને 11 આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદ ફટકારી હતી. ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હોય અને 48 આરોપીઓ પણ નીચલી કોર્ટની સજા સામે હાઇકોર્ટમાં ગયા હતા. 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના ચુકાદાને લઈને હાઇકોર્ટમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હાઇકોર્ટમાં તમામ મુલાકાતીઓને
બેગ સ્કેન કરીને જ એન્ટ્રી અપાઈ હતી.

