કેન્સરના દર્દીઓ માટે આજીવન સમર્પિત ડો. પંકજ શાહની ચીરવિદાય

Wednesday 08th July 2026 06:51 EDT
 
 

અમદાવાદઃ કેન્સર જેવા જીવલેણ રોગથી પીડાતા લાખો દર્દીઓ માટે ભગવાન પુરવાર થયેલા જાણીતા કેન્સર નિષ્ણાત ડો. પંકજભાઈ શાહનું 80 વર્ષની વયે ટૂંકી માંદગી બાદ ગુરુવારે બપોરે અવસાન થયું હતું. ભારત સરકાર દ્વારા પદ્મશ્રી અને મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ મનાતા ડો. બી.સી. રોય એવોર્ડ પ્રાપ્ત કરનારા ડો. પંકજમાઈ મુઠ્ઠીઊંચેરા માનવી હતા. તદ્દન નિરાભિમાની, નખશિખ પ્રામાણિક, સદાય સ્મિત ભરેલો ચહેરો તથા સરળ અને સહજ સ્વભાવ ધરાવતા પંકજભાઈએ આજીવન કેન્સરના દર્દીઓ માટે તથા નિવૃત્તિ બાદ સમાજસેવા માટે જીવનને સમર્પિત કરી દીધું હતું.
‘કેન્સર એટલે કેન્સલ નહીં’ એ મુદ્રાલેખ સાથે કેન્સરના તમામ દર્દીઓને હંમેશાં હૂંફ અને હિંમત આપનારા પંકજભાઈએ લાખો દર્દીઓને હતાશા અને નિરાશાની ગર્તાથી બહાર કાઢ્યા હતા. તેઓ કહેતા કે, ડોક્ટરનું કામ દર્દીને શાંતિથી સાંભળવાનું, ત્યારબાદ હાસ્ય સાથે હિંમત આપવાની. એટલું જ નહીં, તેઓ દર્દીઓને ધરપત આપતા કે ‘જુઓ હવે ભારતમાં પણ અમેરિકા જેટલી જ સારી દવાઓ અને સારવાર ઉપલબ્ધ છે અને મોટાભાગનાં કેન્સર મટી શકે તેમ છે.’ પંકજભાઈના શબ્દો અને હૈયાધારણ તેમના દર્દીઓ માટે સૌથી વધુ અક્સીર ઇલાજ સાબિત થતો.
સદગતની અંતિમયાત્રામાં ટોરેન્ટ ગ્રૂપના ચેરમેન સુધીરભાઈ શાહ, ઝાયડસ ગ્રૂપના ચેરમેન પંકજભાઈ પટેલ, પૂર્વ ચીફ સેક્રેટરી પી.કે. લહેરી, જાણીતા ઉદ્યોગપતિ શૈલેશ પટવારી સહિત સંખ્યાબંધ તબીબો, ઉદ્યોગપતિઓ, સામાજિક કાર્યકરો અને સેંકડો સ્નેહીજનો અને શુભેચ્છકો જોડાયા હતા. પદ્મશ્રી અને ડો. બી.સી. રોય એવોર્ડથી સન્માનિત પંકજભાઈએ સતત પાંચ દાયકા સુધી માનવસેવાની ધુણી ધખાવી હતી.


comments powered by Disqus