અમદાવાદઃ રાજ્યમાં મંગળવાર સુધીના 6 દિવસ મેઘરાજા અણનમ ઇનિંગ રમ્યા. ખાસ કરીને સુરત અને સૌરાષ્ટ્રમાં મેહુલો મન મૂકીને વરસ્યો છે. ગયા બુધવારથી આંશિકરૂપે શરૂ થયેલા વરસાદે અઠવાડિયા દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યા છે. સુરતમાં સોમવારે 5 ઈંચથી વધુ વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, આ અવિરત વરસાદ મંગળવારે પણ યથાવત્ રહેતાં ચારેકોર જળબંબાકારનાં દૃશ્યો જોવા મળ્યાં. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું ટ્રેક્ટર અને બોટથી રેસ્ક્યૂ કરાયું હતું.
દક્ષિણ ગુજરાત
સુરત શહેરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે સુરત પોલીસે સરથાણા વિસ્તારની આદર્શ નિર્વાસિત શાળામાં પૂરનાં પાણી ઘૂસતાં 37 બાળકો અને સ્ટાફના 12 સભ્યો સહિત 49 લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. સુરત શહેરમાં ધોધમાર વરસાદની વચ્ચે એક બાળકીનું કરંટ લાગતાં અને એક મહિલાનું વીજળી પડતાં મોત થયું છે. 12 કલાકમાં વરસાદને કારણે 4 લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે. નવસારી જિલ્લામાં સ્થિતિને પહોંચી વળવા કલેક્ટરે તમામ નાના-મોટા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ આપ્યા છે અને પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીઓના જળસ્તર પર મોનિટરિંગ શરૂ કરાયું છે.
સૌરાષ્ટ્ર
જૂનાગઢના માંગરોળમાં રવિવારથી સોમવાર દરમિયાન સાંબેલાધાર 40 ઈંચ વરસાદના કારણે ઘેડ પંથકની હાલત કફોડી બની છે. દરવર્ષની માફક ઘેડ પંથકમાં પાણી ફરી વળતાં ખેતરો તળાવમાં ફેરવાયાં છે. ઓઝત. ઉબેણ, સાબી અને મધુવંતી નદીમાં આવેલા પૂરના કારણે 12 ગામ સંપર્કવિહોણા બન્યાં છે. ઘેડ વિસ્તારનાં ખેતરોમાં પાણી ભરાતાં પાકને વ્યાપક નુકસાન થયું છે અને પહેલા વરસાદમાં જ ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવીને ઊભા રહી ગયા છે. અમરેલી જિલ્લામાં પણ બારેમેઘ ખાંગા થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયું હતું. આ સ્થિતિના પગલે એનડીઆરએફ અને ફાયર વિભાગ દ્વારા 29 લોકોનું રેસ્કયૂ કરાયું હતું. ખાંભા, રાજુલા સહિત ઉનામાં 12થી 15 ઇંચ અનરાધાર વરસાદથી અનેક ગામો સંપર્કવિહોણા બન્યાં હતાં. સુપ્રસિદ્ધ તાંતણિયા ખોડિયાર મંદિરની ચોતરફ પણ પાણી ભરાયાં હતાં.
ઉત્તર ગુજરાત
મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ વચ્ચે બનાસકાંઠામાં મંગળવારે વાવાઝોડું ત્રાટક્યું હતું. જેના કારણે દિયોદર-જેતડા હાઇવે પર ઝાડ પડ્યાં હતાં અને ટ્રાફિકજામ થયો હતો. મંગળવારે હિંમતનગર, તલોદ અને પ્રાંતિજમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. માત્ર એક કલાકમાં બે ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું.

