જયપુર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના બાલોતરા જિલ્લાના પચપાદરા ખાતે રૂ. 80,000 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી દેશની સૌપ્રથમ ઈન્ટિગ્રેટેડ ગ્રીનફિલ્ડ રિફાઈનરી-કમ પેટ્રોલિયમ કોમ્પલેક્સ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. રિફાઈનરી સહિત રાજ્યમાં રૂ. 1.06 લાખ કરોડથી વધુનાં વિકાસકાર્યોના લોકાર્પણ બાદ અહીં એક જંગી જનમેદનીને સંબોધતાં વડાપ્રધાને જણાવ્યું કે, ભારત હવે વિશ્વનો ચોથો સૌથી મોટો રિફાઈનરી ક્ષમતા ધરાવતો દેશ બની ગયો છે અને તે તેના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સતત વિસ્તૃત બનાવી રહ્યો છે.
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, શહેરી પરિવહન, રેલવે, રોડ, રિન્યુએબલ એનર્જી તથા પાવર ટ્રાન્સમિશન સહિતનાં વિકાસકાર્યોનો આ પ્રોજેક્ટ ભારતની ઊર્જાસુરક્ષાને વધુ મજબૂત બનાવવાની સાથે પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતામાં વધારો કરી ઔદ્યોગિક વૃદ્ધિને વેગ આપશે. આ રિફાઈનરી વાર્ષિક 2.4 મિલિયન મેટ્રિક ટનની પેટ્રોકેમિકલ રિફાઈનિંગની ક્ષમતા ધરાવે છે. સમયસર નિર્ણય, વ્યૂહાત્મક આયોજન તથા મજબૂત રાજદ્વારી સંપર્કો દ્વારા ભારત 21મી સદીના સૌથી મોટાં ઊર્જા સંકટને ખાળવામાં સફળ રહ્યું છે.

