નવી દિલ્હીઃ ભારત અને જાપાન વચ્ચે મહત્વપૂર્ણ કરારો થયા હતા, જાપાનના વડાંપ્રધાન સાને તકાઇચી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી, જે દરમિયાન બન્ને દેશો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઇ, મેટલ્સ, ઊર્જા, સંરક્ષણ, વેપાર સહિતના અનેક કરારો થયા છે. જેમાં સૌથી મહત્વપૂર્ણ આર્થિક સુરક્ષા સાથે જોડાયેલ કરારો છે.
ભારતની મુલાકાતે આવેલાં જાપાનના પ્રથમ મહિલા વડાંપ્રધાન સાને તકાઇચીએ ગુરુવારે વડાપ્રધાન મોદી સાથે શિખર મંત્રણા કરી હતી. બંને મહાનુભાવો વચ્ચેની મંત્રણા બાદ ભારત અને જાપાન વચ્ચે આર્થિક, સંરક્ષણ અને ઓઇલ સંકટ નિવારવા સહિતનાં ક્ષેત્રોમાં ભાગીદારી મજબૂત બનાવવા વિવિધ પગલાં લેવા સહમતી સધાઈ હતી. મંત્રણા બાદ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં ભારત-જાપાન વચ્ચે 100થી વધુ નવા વેપાર કરારો થયા છે, જેને પગલે ભારતમાં 10 અબજ ડોલરનું રોકાણ આવશે. જો કે અમારું લક્ષ્ય આગામી 10 વર્ષમાં આ રોકાણને વધારી 10 ટ્રિલિયન યેન (આશરે રૂ. 6 લાખ કરોડ) સુધી લઈ જવાનું તથા ભારતમાં જાપાનની કંપનીઓની સંખ્યા વધારી બમણી કરવાનું છે.
બંને વચ્ચેની મંત્રણા બાદ આર્થિક સુરક્ષા, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે સહયોગ વધારવા તથા ઉર્જા પુરવઠાને મજબૂત બનાવવા માટે સહયોગ વધારવા અંગે વિવિધ પગલાંની ઘોષણા કરાઈ હતી. આ ઉપરાંત બંને દેશોએ શિપબિલ્ડિંગ, એવિએશન તથા લોજિસ્ટિક ક્ષેત્રે ભાગીદારી વધારવાની પણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત અને જાપાન આર્થિક સુરક્ષા અને ઊર્જા સુરક્ષાનું મહત્ત્વ સારી રીતે સમજે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અમે આર્થિક સુરક્ષા માટેનો રોડમેપ તૈયાર કર્યો છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનની વધતી દાદાગીરી વચ્ચે મોદી અને તકાઇચીએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની વર્તમાન સ્થિતિ વિશે પણ ચર્ચા કરી હતી.
ચીનના પેટમાં તેલ રેડાયું
જાપાનના વડાંપ્રધાનની ભારત મુલાકાત અંગે ચીને કહ્યું કે, બે દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને સહકાર કોઈ ત્રીજા દેશનાં હિતોને નુકસાન પહોંચાડતા ન હોવા જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જિયાકુને કહ્યું કે, ‘વિવિધ દેશો વચ્ચેનો સહકાર અને સંબંધો પ્રાદેશિક દેશો વચ્ચે વિશ્વાસ વધારવામાં તેમજ પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવવા સહાયક બનવા જોઈએ.’

