રાજકોટના સીમાડે 30 હજારની નંદીની ક્ષમતાનો આશ્રમ બનાવવામાં આવશે

Wednesday 08th July 2026 06:51 EDT
 
 

ગોંડલઃ રાજકોટમાં પ્રથમ એક અનોખો આશ્રમ બનવા જઈ રહ્યો છે. સદભાવના વૃદ્ધાશ્રમ ખીરસરા પાસે 200 એકરમાં રૂ. 110 કરોડના ખર્ચે ખાસ બળદ આશ્રમ બનાવવાનું નક્કી કરાયું છે. 10 જુલાઈથી આ આશ્રમનું કામ શરૂ થશે અને 3 મહિનામાં જ તમામ કામ આટોપી લેવાશે. એક અંદાજ મુજબ રાજકોટનાં 600 ગામમાં 30 હજાર જેટલા રખડતાં નંદી અને વાછરડાં છે, આ તમામને આ આશ્રમમાં કાયમી આશ્રય અપાશે. આ વર્ષના અંતમાં બનીને તૈયાર થનારા આ આશ્રમનો વાર્ષિક નિભાવ ખર્ચ અંદાજે રૂ. 75 કરોડ થશે.
ગરમીમાં ફોગર ચાલુ થશે
આશ્રમમાં 54,000 સ્ક્વેર ફૂટના કુલ 32 ડોમ બનાવાશે. એક ડોમમાં 900 નંદીનો સમાવેશ થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવાશે. ઉનાળામાં તાપમાન 35 ડિગ્રીથી ઉપર જાય કે તરત જ ફોગર ચાલુ થઈ જશે, જેથી નંદીને ગરમીનો સામનો ન કરવો પડે.
પાણીની સમસ્યા ટાળવા આશ્રમમાં એક કરોડ લિટર પાણીનો ટાંકો પણ બનાવાશે અને તબીબોની ટીમ પણ રખાશે. આ ઉપરાંત ઘાસચારા માટે 7,500 સ્ક્વેર ફૂટના 30 ગોડાઉન પણ બનાવાશે. આશ્રમમાં સ્મશાન પણ બનાવાશે. સદ્ભાવના વૃદ્ધાશ્રમના સંચાલકોએ જણાવ્યું કે, એકપણ નંદીનો મૃતદેહ આશ્રમથી બહાર કઢાશે નહીં. નંદીનું મૃત્યુ થાય તો આશ્રમમાં જ અંતિમવિધિ કરાશે. અહીં ભગવાન શંકરનું મંદિર પણ બનાવવામાં આવશે.


comments powered by Disqus