અમદાવાદઃ સરદારધામ દ્વારા અમદાવાદ ખાતે સ્થાપક ટ્રસ્ટીઓ, ટ્રસ્ટીઓ અને યુવા સંગઠન હોદ્દેદારોની બે દિવસીય ઐતિહાસિક ચિંતન શિબિર યોજાઇ હતી. સ્વામી વિવેકાનંદજીના નિર્વાણ દિન 4 જુલાઇથી શરૂ થયેલી આ શિબિરમાં સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાતના બહારના રાજ્યોમાંથી પણ ટ્રસ્ટીઓ જોડાયા હતા. સરદારધામના 2016થી 2026ના સફળ રોડ મેપ બાદ પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે આગામી 20 વર્ષનો એટલે કે 2047 સુધીનો માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે આ તમામ ટ્રસ્ટીઓએ સાથે મળીને વિચારમંથન કર્યું હતું. આ શિબિરના સવારના ઉદઘાટન સત્રમાં સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયાએ 2016થી 2025 સુધીના જે કંઈ પણ કાર્મો કર્યો તેનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. તેની સાથે હવેના બે દાયકામાં એટલે કે 2047 સુધીમાં શું કામ કરવું છે તેની વિભાવના પણ પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમના અંતમાં કેશુભાઈ ગોટી, ચિંતન શિબિરના અધ્યક્ષ ગોવિંદભાઈ ધોળકિયાએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.

