નવી દિલ્હીઃ ભારત-ચીનના વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે બેઇજિંગમાં સરહદના મુદ્દે ચર્ચા થયાના બે દિવસ બાદ બંને દેશના સૈન્ય દ્વારા સ્થિતિની સમીક્ષા હાથ ધરાઈ હતી. જેમાં અરુણાચલ પ્રદેશ વિસ્તારમાં વાસ્તવિક અંકુશ રેખા પર શાંતિ જાળવવાના પ્રયાસો પર ભાર મુકાયો હતો. રવિવારે અરુણાચલ પ્રદેશના કિબિથુ વિસ્તારમાં વાચા-દમાઈ સરહદે બંને સૈન્યના કમાન્ડર સ્તરની બેઠક યોજાઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકમાં સરહદ પર શાંતિ-સ્થિરતા જાળવવા બંને દેશ સહમત થયા હતા.
ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ ગિરીશ કાલિયાએ કર્યું હતું કે, જેઓ દિમાપુર-સ્તિત 3 કોર્પ્સના કમાન્ડર છે. આ મંત્રણા અંગે સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી. અરુણાચલ પ્રદેશના અપર સુબાનસિરી વિસ્તારમાં અંકુશ રેખા પર ચીની સૈન્યની આક્રમક કવાયતના અહેવાલો વચ્ચે આ બેઠક યોજાઈ હોવાથી ઘણી સૂચક મનાય છે. બંને દેશો દ્વારા હવે શાંતિ સ્થપાવાની આશા રખાઈ રહી છે.
