ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનાં મોત સાથે કુલ મૃતાંક 14 થયો છે. બુધવારે વધુ 13 આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને જેલહવાલે કરાયા છે. અત્યાર સુધી કુલ 27 આરોપીને જેલમાં ધકેલી દેવાયા છે અને પોલીસ કોન્સ્ટેબલ સહિત 12 આરોપી રિમાન્ડમાં છે.
સમગ્ર રાજ્યમાં ભારે ખળભળાટ મચાવનારા આ લઠ્ઠાકાંડની ગંભીરતાને ધ્યાને લઈને રાજ્યના ગૃહવિભાગ દ્વારા સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપાઈ હતી. ઝેરી અને નકલી કેમિકલયુક્ત દારૂ બનાવી તેનું ગેરકાયદે વેચાણ કરનારાં તત્ત્વો સામે વરતેજ પોલીસ મથકમાં મુખ્ય સૂત્રધાર સહિત 21 શખ્સો વિરુદ્ધ નામજોગ ગુનો નોંધાયો હતો. SMC દ્વારા તપાસ હાથમાં લઈને અત્યાર સુધી કુલ 39 આરોપીની આ મામલે ધરપકડ કરાઈ છે અને અલગ-અલગ મુદતના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. બે દિવસ અગાઉ મુખ્ય સૂત્રધાર સહિત પ્રથમ તબક્કાના 14 આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેમને કોર્ટના આદેશથી જેલહવાલે કરી દેવાયા હતા. લઠ્ઠાકાંડ દરમિયાન નકલી દારૂથી પીડિત અને સર ટી. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ એક દર્દીનું બુધવારે મોત થતાં પરિવારજનો શોકમાં ડૂબી ગયા હતા. આ મોત સાથે કુલ મૃત્યુઆંક 14 થયો છે.
