17 આઇસોલેટ સિંહ પૈકી 12ને મુક્ત કરાયાઃ 5 સારવાર હેઠળ

Wednesday 10th June 2026 06:12 EDT
 
 

ઉનાઃ જસાધાર એનિમલ કેર સેન્ટર પરથી 5 સિંહને જંગલમાં મુક્ત કરાયા છે, જ્યારે એક માદા અને બે સિંહબાળ હજુ સારવાર હેઠળ છે. તેવી જ રીતે જામવાળા એનિમલ કેર સેન્ટરથી પણ 7 સિંહને જંગલમાં છોડી દેવાયા છે, જ્યારે બે નર અને એક સિંહબાળ સારવાર હેઠળ છે. આમ કુલ 12 સિંહને મુક્ત કરાયા છે અને 5 સિંહ સારવાર હેઠળ છે
સિંહનાં મોત ગરમીથી થયાંઃ વનમંત્રી
ગીર વિસ્તાર અને ગીર કાંઠામાં પાછલા દિવસોમાં સાવજોમાં બેબેસિયાનો રોગચાળો ફેલાયા બાદ વનમંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 8 સિંહ બાળનાં ટૂંકા ગાળામાં મૃત્યુ થતાં ચિંતાની લાગણી હતી. અને ત્યારબાદ 17સાવજોને પકડીને ક્વોરન્ટાઇન કરાયા હતા. તપાસમાં જણાયું છે કે, સિંહોનાં મોત બેબિસિયા કે અન્ય વાઇરસથી નહીં પણ ગરમીના કારણે થયાં છે. તેમણે જણાવ્યું કે, તમામ 17 સાવજની સારવાર કરાઈ હતી, જે પૈકી 12 સાવજો સાજા થઈ જતાં હાલમાં તેમને ફરી તેમના કુદરતી આવાસમાં મુક્ત કરી દેવાયા છે, જ્યારે 5 સાવજની સારવાર ચાલી રહી છે, પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, બીમારીની જાણ થતાં વનતંત્ર દ્વારા તુરંત સાવજોનો સરવે કરાયો હતો. 600 જેટલા સાવજોને ડિવોર્મિંગ અને ડિટિકિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે આખો વિસ્તાર જંતુમુક્ત થયો હતો.
હવે સિંહો મુક્તપણે વિહરે છે
ગીર પૂર્વ રેન્જના ડીસીએફ વિકાસ યાદવે જણાવ્યું હતું કે, જે સિંહો સારવાર હેઠળ છે તેમની હાલત પણ સુધારા પર છે અને તેમને પણ ટૂંક સમયમાં જંગલમાં મુક્ત કરાશે. તેમણે ઉમેર્યું કે, હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે અને વનવિભાગની તમામ રેન્જની ટીમ સિંહોનું સતત મોનિટરિંગ કરી રહી છે. હવે સિંહો જંગલમાં મુક્તપણે વિહરી રહ્યા છે.


comments powered by Disqus