નવી દિલ્હીઃ વેનેઝુએલાના કાર્યકરી રાષ્ટ્રપ્રમુખ ડેલ્સી રોડ્રિગ્સે હાલમાં જ ભારતની મુલાકાત કરી. આ પ્રવાસ દરમિયાન ડેલ્સીએ ગુરુવારે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી, જેમાં બંને પક્ષે સંબંધો મજબૂત કરવાના મુદ્દે ચર્ચા થઈ. બંને દેશો ઊર્જા, સુરક્ષા, વ્યાપાર અને રોકાણ, ફાર્મા, આરોગ્ય સેવા, પરિવહન અને રિન્યૂએબલ એનર્જી જેવાં ક્ષેત્રોમાં સહકાર વધારવા પ્રતિબદ્ધ છે.
ગુરુવારે આ અગાઉ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર ડેલ્સી રોડ્રિગ્સને મળ્યા હતા અને ભારત-વેનેઝુએલા ભાગીદારીને મજબૂત કરવા પ્રત્યેની તેમની નિરંતર પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. જયશંકરે આશા વ્યક્ત કરી હતી કે, વડાપ્રધાન મોદી સાથેની ડેલ્સીની બેઠક દ્વિપક્ષીય સહયોગને વધુ સુદૃઢ કરશે. ડેલ્સી ભારત-વેનેઝુએલા સંબંધોને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશથી બુધવારે નવી દિલ્હી પહોંચ્યા હતા.
ડેલ્સીની સાથે મોટું પ્રતિનિધિમંડળ પણ આવ્યું હતું, જેના સભ્યોએ ઊર્જા, દવા અને ઓટોમોબાઇલ ક્ષેત્રોની વિવિધ કંપનીઓની મુલાકાત લીધી, જેનો ઉદ્દેશ ભારતની તકનિકી અને ઔદ્યોગિક ક્ષમતાઓને સમજવાનો તથા સહયોગની નવી તકો શોધવાનો છે.
ઊર્જા અને રોકાણ ક્ષેત્રમાં ભારત વેનેઝુએલાનું મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે. ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓએ વેનેઝુએલાના ઊર્જાક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ
કર્યું છે.

