નવી દિલ્હીઃ દિલ્હીના માલવીય નગરની ફ્લોરિશ સ્ટે હોટેલમાં બુધવારે આગ લાગવાથી 21 લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં 11 વિદેશી નાગરિકો પણ સામેલ છે, જેમાં 9 આફ્રિકન અને 2 તુર્કમેનિસ્તાનના લોકો સામેલ હતા, જ્યારે 10 ભારતીય મૃતકોમાંથી 8 લોકો રાજસ્થાન અને હરિયાણાના એક જ પરિવારના સભ્યો હોવાનું જણાયું છે. આ દુર્ઘટનામાં કુલ 35 લોકો ઘાયલ થયા છે, તેમાંથી 19 લોકોની હાલત ગંભીર છે.
દુર્ઘટના બાદ હોટેલ માલિક લવકેશ બજાજને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. બજાજ પર બિનઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરાયો છે. દિલ્હી ફાયર સર્વિસ અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર માલવીય નગરની લેમન ગ્રીન રેસ્ટોરન્ટમાં સવારે 8:50 વાગ્યે આગ લાગી હતી. આગ રેસ્ટોરન્ટની ઉપર ફાયર એનઓસી વગર બનેલી 25 રૂમની હોટેલ ફ્લોરિશ સ્ટે સુધી પહોંચી ગઈ હતી.
દુર્ઘટનાના પગલે હોટેલથી 40 લોકોનું રેસ્ક્યૂ કરાયું. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. છેલ્લા 6 મહિનામાં દિલ્હીમાં આગની અલગ-અલગ ઘટનાઓમાં 66 લોકોનાં મોત થયાં છે. પોલીસે આસપાસની હોટેલમાં પણ તપાસ હાથ ધરી છે.

