યોગદિવસનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ માણસા ખાતે યોજાશે

Wednesday 10th June 2026 06:56 EDT
 
 

ગાંધીનગરઃ રાજ્ય સરકારે આ વખતે 21 જૂનનો આંતરરાષ્ટ્રીય યોગદિવસનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના વતન માણસા ખાતે યોજાશે. આ સાથે ગુજરાત યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ રાજપૂતની ટર્મ 27 મેએ પૂર્ણ થતાં તેમને રાજ્ય સરકારે વધુ એક વર્ષ માટે મુદત વધારો આપ્યો છે. રાજ્ય સરકારે માણસામાં યોગદિવસનો કાર્યક્રમ યોજવા રૂ. 75 લાખ પણ ફાળવી દીધા છે. માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં યોગાસનનો કાર્યક્રમ યોજાશે, જેમાં એકસાથે બેથી ત્રણ હજાર લોકો પણ યોગાસનમાં જોડાય તે રીતે અત્યારે કાર્યક્રમનું પ્લાનિંગ થઈ રહ્યું છે. દરવર્ષે રાજ્યકક્ષાના કાર્યક્રમની સાથે મહાનગરો, જિલ્લા, તાલુકાકક્ષાએ પણ યોગાસનના કાર્યક્રમો યોજાય છે. ડિસેમ્બર 2014માં વિશ્વના મોટાભાગના દેશોએ સમર્થન આપીને યોગદિવસનો સ્વીકાર કર્યો હતો, જેનો મૂળ ઉદ્દેશ્ય ભારતની પ્રાચીન યોગ પરંપરાના અમૂલ્ય ઉપહારને સંપૂર્ણ વિશ્વ સાથે વહેંચવાનો હતો. ત્યારથી દરવર્ષે આ આયોજન વૈશ્વિકસ્તર પર વધુ વિસ્તૃત થઈ રહ્યું છે. આ વર્ષનો કેન્દ્રીય વિચાર છે, ‘કલ્યાણ, વિવેક અને વિશ્વશાંતિ માટે યોગ’.


comments powered by Disqus