ગાંધીનગરઃ રાજ્યસભામાં ખાલી પડનારી ગુજરાત વિધાનસભાના ચાર પ્રતિનિધિની બેઠકો માટે સોમવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. બપોરે 12:39 વાગ્યે ભાજપથી રાજેશ શુક્લ, માનસિંહ પરમાર, જિતેન્દ્ર કણઝરિયા અને મુકેશ રાઠવાએ ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિત વિપક્ષ પાસે રાજ્યસભામાં ઉમેદવારી કરવા સર્મથન આપી શકે એટલા ધારાસભ્યોનું બળ પણ નથી! આવી સ્થિતિમાં ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ રાજ્યસભાના સાંસદ બની રહેશે. કોંગ્રેસે ઉમેદવારી ન નોંધાવી હોવાથી 11 જૂને ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સત્તાવાર જાહેરાત થશે.
ઉમેદવારીની સાથે રજૂ થયેલા સોગંદનામામાં 38 વર્ષના મૂકેશ રાઠવા પાસે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા જેટલી પણ આવક નથી! જ્યારે 62 વર્ષના રાજેશ શુક્લ રૂ. 7.12 કરોડની લોનની સામે રૂ. 62 કરોડની મિલકતો ધરાવે છે. નાના જ્ઞાતિ સમૂહોના યુવાનોને તક આપવાની રણનીતિમાં લાંબી ગણતરી હોઈ શકે છે, કારણ કે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉત્તરમાં અંબાજીથી દક્ષિણમાં ઉમરગામ વચ્ચેની પૂર્વ પટ્ટીના આદિવાસી ક્ષેત્રમાં અને મધ્ય ગુજરાતમાં ભાજપ સામે AAP અને કોંગ્રેસે પડકાર સર્જ્યો છે. આથી છોટાઉદેપુરથી મુકેશ રાઠવાની પસંદગી કરાઈ છે, જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રમાં વિરમગામથી છેક ઓખામંડળ-દ્વારકા સુધીના ભૂભાગમાં 12થી વધારે વિધાનસભાની બેઠકો પર સથવારા જ્ઞાતિના મતદારો છે. આથી જિતેન્દ્ર કણઝરિયાને તક અપાઈ છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં, બોટાદ-ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આહિર અને કોળી બાહુલ્ય મતક્ષેત્રોને વધારે મજબૂત કરવા માનસિંહ પરમારને રાજ્યસભા મોકલવામાં આવી રહ્યા હોવાની ચર્ચા ભાજપમાં છે. તદ્ઉપરાંત એક દાયકાથી ઉત્તર ગુજરાત કે અમદાવાદથી બ્રાહ્મણ પ્રતિનિધિત્વ ન હોવાથી કડીના રાજેશ શુક્લની પસંદગી કરી ભાજપે રાજકીય સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.
ઉમેદવારો દ્વારા સંપત્તિ જાહેર
માનસિંહ પરમારે પોતાના નામે કાર કે વાહન ન હોવાનું જાહેર કર્યું છે. જો કે તેમની પાસે 12 બોરની એક રિવોલ્વર છે. પત્ની સહિત પરિવાર પાસે સ્થાવર-જંગમ મળી કુલ રૂ. 5.18 કરોડ ઉપરાંતની મિલકતો તેમણે જાહેર કરી છે અને રૂ. 1.36 કરોડની બેન્ક લોન છે. જ્યારે રાજેશ શુક્લે પોતાના નામે ઇનોવા કાર અને રોયલ એનફિલ્ડ બાઇક હોવાનું જાહેર કરીને સોગંદનામામાં કુલ સંપત્તિનું મૂલ્ય રૂ. 62.23 કરોડ દર્શાવ્યું છે અને સામે રૂ. 7.12 કરોડનું દેવું હોવાનું જાહેર કર્યું છે. આ બંને આગેવાનો કૃષિ અને જમીન સંલગ્ન વેપાર કરે છે. જિતેન્દ્ર કણઝરિયાએ પોતાની વાર્ષિક આવક રૂ. 4.88 લાખ અને પત્નીની આવક રૂ. 6.09 લાખ જાહેર કરીને અંદાજિત રૂ. 3 કરોડની સંપત્તિ જાહેર કરી છે. જ્યારે મૂકેશ રાઠવા કોઈ નોકરી-ધંધો કરતા નથી અને તેઓ ભાજપના પ્રચારક છે. તેમણે પોતાના નામે રૂ. 16.84 લાખ અને પત્નીના નામે રૂ. 21.24 લાખની મિલકતો જાહેર કરી છે.
ABVP, RSS, સમાજ સંયોજનથી સંતુલન સાધવા પ્રયાસ
રાજ્યસભાની ચૂંટણીમાં ગુજરાતની ચારેય બેઠકો માટે હાઈકમાન્ડે ગુરુવારે સાંજે જેમનાં નામો ચર્ચામાં નહોતાં, ટિકિટ માટે દાવેદારી પણ કરી નહોતી તેવા RSS અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદ-ABVP બેકગ્રાઉન્ડ ધરાવતા યુવા કાર્યકરોનાં નામ જાહેર કરી સંગઠનને વધુ એકવાર ચોંકાવ્યું છે. સ્થાનિક સ્વરાજ્ય બાદ રાજ્યસભાની ચારેય બેઠકો માટે તદ્દન નવોદિતોને ટિકિટ આપી છે. (ST) જેમાં સૌરાષ્ટ્રમાંથી બે OBC, મધ્ય ગુજરાતથી આદિવાસી એમ ત્રણ યુવાન અને ઉત્તર ગુજરાતથી યુવાકાળથી કાર્યરત્ બાહ્મણ ચહેરાઓ પસંદ કર્યા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાસે સંખ્યાબળ ન હોવાથી ઉમેદવારી ફોર્મ ભરતાં જ ભાજપના ચારેય સભ્યો બિનહરીફ જાહેર થયા છેે.
પ્રથમ વખત રાજ્યસભામાં ભાજપના 11
રાજ્યસભામાં જૂનને અંતે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા તમામ 11 સાંસદ ભાજપના થશે. હાલમાં રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા તમામ 11 સાંસદ પૈકી જગત પ્રકાશ નડ્ડા અને એસ. જયશંકર એમ બે સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં સ્થાન ધરાવે છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની ટર્મ પૂર્ણ થતાં હવે ગુજરાતના 11 પૈકી 11 સભ્યો ભાજપના હોવાથી બાકીના 9 પૈકી રાજ્યસભાથી એકાદ ગુજરાતીને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી બાદ કેન્દ્રીય મંત્રીમંડળમાં વિસ્તરણની શક્યતા છે
ઉમેદવારોનું રાજકીય ગણિત
1. રાજુ શુક્લઃ RSSનું બેકગ્રાઉન્ડ. મહેસાણા ભાજપમાં પૂર્વ મહામંત્રી, કડી નગરપાલિકામાં પૂર્વ પ્રમુખ, GPSCમાં મેમ્બર રહેલા 62 વર્ષના રાજુ શુક્લ ABVP અને વિદ્યાભારતી સાથે જોડાયેલા છે. રાજ્યસભામાં ગુજરાતમાંથી એક માત્ર બ્રાહ્મણ.
2. માનસિંહ પરમાર: OBC મોરચાના પ્રદેશ અધ્યક્ષ હતા. ABVPથી રાજકીય કેરિયર શરૂ કરનારા 45 વર્ષના પરમાર કારડિયા રાજપૂત છે. આ સમાજમાંથી સૌરાષ્ટ્રમાં એક પણ ધારાસભ્ય નથી.
3. મુકેશ રાઠવાઃ મધ્ય ગુજરાતના રાઠ ક્ષેત્રના યુવા આદિવાસી નેતા છે. ABVP, ગુજરાત બહારનાં રાજ્યોમાં ચૂંટણી પ્રચાર સહિત સંગઠનની જવાબદારીઓ સંભાળે છે. LL.B સુધી અભ્યાસ ધરાવે છે. ભાજપમાં આક્રમક યુવા નેતા તરીકે જાણીતા છે.
4. જિતેન્દ્ર કણઝરિયા: પૂર્વ ધારાસભ્ય સ્વ. મેઘજીભાઈના પુત્ર છે. MCAની ડિગ્રી ધરાવતા 39 વર્ષના યુવા જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ રહી ચૂક્યા છે. સુરેન્દ્રનગરથી જામનગર સુધી વિસ્તરેલા સતવારા સમાજમાંથી આવે છે.

