નવી દિલ્હીઃ વિપક્ષોના શંભુમેળા INDIA બ્લોકની સોમવારે દિલ્હીમાં બેઠક યોજાઈ, જેમાં કેન્દ્રમાં સત્તારૂઢ પક્ષ પર કેટલાક આક્ષેપો કરાયા હતા. બેઠકનો હેતુ ગઠબંધનના સહયોગી પક્ષો વચ્ચે મહત્ત્વના મુદ્દે ચર્ચાનો હતો. બેઠકમાં ખાસ કરીને 5 મુદ્દા પર સહમતી સધાઈ. જેમાં SIR મામલે CJI ને પત્ર લખવો, નીટ પેપરલીક મામલે કેન્દ્રના શિક્ષણમંત્રીનું રાજીનામું જેવા મુદ્દા મહત્ત્વના હતા. બેઠકમાં 25 રાજકીય પક્ષોના નેતા હાજર રહ્યા હતા, જેમાં કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, અખિલેશ યાદવ, સુપ્રિયા સુલે, ઓમર અબ્દુલ્લા અને મહબૂબા મુફ્તિનો સમાવેશ થાય છે. DMK તેમજ આમઆદમી પાર્ટીએ બેઠકથી અંતર જાળવ્યું હતું.
SIR મામલે CJIને પત્ર અને નીટ પેપરલીક મામલે શિક્ષણમંત્રીનું રાજીનામું માગવા સિવાય દેશની આર્થિક સ્થિતિ, બેકારી, મોંઘવારી, ખેડૂતોનાં મુદ્દે ચર્ચા માટે કેન્દ્ર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવા, દર બે મહિને ગઠબંધનની બેઠક યોજવા અને સંસદ સત્રમાં નેતા વિપક્ષની અધ્યક્ષતામાં દરરોજ બેઠક યોજવી જેવા મુદ્દે સહમતી સધાઈ છે.

