અમદાવાદઃ દાયકાઓથી સરકારી જમીન પચાવી પાડીને મોટેરામાં ઊભું કરાયેલું આસારામનું સામ્રાજ્ય હવે જમીનદોસ્ત થશે. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીએ એક ઐતિહાસિક ચુકાદામાં આશ્રમની 45 હજાર ચોરસ મીટરથી વધુની જમીન પાછી ખેંચવાના સરકારના નિર્ણય પર મહોર મારી દીધી છે. આ સાથે જ રૂ. 500 કરોડની બજાર કિંમત ધરાવતી જમીન પરનાં 32થી વધુ ગેરકાયદે બાંધકામો પર ગમે ત્યારે બુલડોઝર ફરી વળશે.
નિયમોના ધજાગરા અને અતિક્રમણની પરાકાષ્ઠા
ધાર્મિક હેતુ માટે મર્યાદિત જમીન મેળવ્યા બાદ આસારામ અને તેના મળતિયાઓએ વ્યવસાયિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદે બાંધકામો દ્વારા કીમતી સરકારી જમીન ગળી જવાનો વ્યવસ્થિત કારસો રચ્યો હતો. હાઇકોર્ટે આશ્રમની તમામ અરજીઓ ફગાવતાં સ્પષ્ટ કર્યું છે કે, જાહેર જમીન પર ઈંચે ઈંચ અતિક્રમણ કર્યા બાદ તેને કાયદેસર બનાવવાનો પ્રયાસ કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. સરકારે કોર્ટમાં આક્રમક દલીલ કરી હતી કે, આશ્રમે શરતોનો ભંગ કરી પરવાનગી વગર મોટાપાયે બાંધકામ ખડકી દીધું હતું. આમ હાઇકોર્ટની લીલીઝંડી મળતાં આ જમીન હસ્તગત કરાશે.

