અમદાવાદઃ રાજ્યભરમાં ક્યાંક ક્યાંક ધુળેટીની ઉજવણી કરુણાંતિકામાં ફેરવાઈ ગઈ હતી. અલગ-અલગ જિલ્લામાં રંગોથી રમીને નહાવા પડેલા સગીર સહિત 31 વ્યક્તિનાં મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે ત્રણ જેટલા વ્યક્તિની ડેડબોડી બીજા દિવસે બપોરના 2 વાગ્યા સુધી પણ કોઈ પત્તો લાગ્યો નહોતો. જેના પગલે ફાયરવિભાગ, સ્થાનિક તરવૈયા અને પોલીસની ટીમે શોધખોળ હાથ ધરી હતી. અમદાવાદમાં કુબેરનગરના સંતોષીનગરમાં 21 વર્ષીય દુર્ગેશ કોરી બુધવારે સવારે તેના મિત્રો 21 વર્ષીય સાહિલ કોરી, 17 વર્ષીય પિયૂષ મહેરચંદાણી અને 28 વર્ષીય સન્ની યાદવ સાથે પોતાના ઘર પાસે ધુળેટી રમ્યા હતા. ચારેય મિત્રો ધુળેટી રમ્યા બાદ નાના ચિલોડામાં નંદીગ્રામ પાસે સાબરમતી નદીમાં નહાવા માટે ગયા હતા.

