નવી દિલ્હીઃ અમેરિકા અને ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધમાં અમેરિકન સબમરિને શ્રીલંકાના તટ પર ઇરાની યુદ્ધજહાજ આઇરિસ ડેનાને તોડી પાડતાં હિન્દ મહાસાગરમાં સુરક્ષાના મુદ્દે ગંભીર ચિંતા ઊભી થઈ છે. નોંધપાત્ર વાત એ છે કે વેસ્ટ એશિયામાં જ્યારે તણાવ વધ્યો ત્યારે ઈરાનનાં ત્રણ યુદ્ધજહાજ આ ક્ષેત્રમાં હતાં, જેમાંના એક જહાજ આઇરિસ લવાનને કોચ્ચિ બંદર પર શેલ્ટર કરવામાં આવ્યું, બીજા જહાજને શ્રીલંકાએ ત્રિકોમાલી પોર્ટ પર એન્કર થવાની મંજૂરી આપી અને ત્રીજું આઇરિસ ડેના અમેરિકાની સબમરિનનો શિકાર થયું. વિદેશમંત્રી એસ. જયશંકરે આઇરિસ લવાનને બચાવ્યું હોવાનું સત્તાવાર નિવેદન આપ્યું હતું.
એસ. જયશંકરે કહ્યું કે, ભારતે તકનિકી સમસ્યામાં ફસાયેલા ઇરાની જહાજને માનવીય આધારે મદદ કરી અને તેને ભારતીય બંદરે આવવાની મંજૂરી આપી. ઇરાન તરફથી ભારતને સંદેશો મળ્યો હતો કે તેમનું એક જહાજ જે-તે સમયે ભારતીય જળસીમાની સૌથી નજીક હતું, ત્યારે તકનિકી ખામી સર્જાઈ હતી અને ભારતીય બંદરમાં આવવાની મંજૂરી માગી હતી. તેમણે જણાવ્યું કે, આ સંદેશો મળ્યા બાદ 1 માર્ચે ભારત સરકારે જહાજને ભારતીય બંદરમાં આવવાની મંજૂરી આપી હતી.

