અમદાવાદ: રૂ. 2.29 કરોડથી વધુના અપ્રમાણસર રોકડ વ્યવહાર અને ગેરકાયદે સંપત્તિ કેસમાં આણંદનાં પૂર્વ નિવાસી અધિક કલેક્ટર (RAC) કેતકી ભાસ્કરભાઈ વ્યાસ સામે નોંધાયેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત વસાવવાના ગંભીર કેસમાં હાઈકોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. હાઈકોર્ટના જસ્ટિસ સંજીવ જે. ઠાકરે આરોપી કેતકી વ્યાસની આગોતરા જામીન અરજી ફગાવી દેતાં સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે, આર્થિક ગુનાઓની ગંભીરતા જોતાં આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ અત્યંત અનિવાર્ય છે. ACB અમદાવાદ શહેર દ્વારા વર્ષ 2012થી 2023 દરમિયાન આણંદ ખાતે RAC તરીકે ફરજ બજાવનાર કેતકી વ્યાસ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

