વડોદરા: સરદાર ધામ-3ના લોકાર્પણ પ્રસંગે ઝાયડસના ચેરમેન પંકજ પટેલે મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે, અમદાવાદમાં ઝાયડસ રૂ. 500 કરોડના ખર્ચે સરદારધામ યુનિવર્સિટીની સ્થાપના કરશે. જેનુ નિર્માણ ત્રણ વર્ષમાં પૂર્ણ કરી દેવાશે. ઝાયડસના ચેરમેન પંકજ પટેલે પ્રધાનમંત્રી મોદીની વિશેષ ઉપસ્થિતિમાં આ જાહેરાત કરી હતી. જેને વડાપ્રધાને પણ તાળી પાડીને વધાવી હતી.
પંકજ પટેલે વક્તવ્યમાં કહ્યું કે, પાટીદાર ખેડૂતની પાસે ખેતરમાં કોઈ આવે તો તેને ખેડૂત કંઈને કંઈક આપતો હોય છે. ભલે અમારી પાસે ઓછું હોય કે વધારે હોય એ અમે નથી જોતા, પરંતુ કોઈને ખાલી હાથે નથી મોકલતા. અનાજ, શાકભાજી કંઈકને કંઈક આપતા હોઈએ છીએ. પંકજ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ માટે અમે આપ્યું છે, જરૂર પડે બીજી પણ મદદ કરીશું,
વડાપ્રધાન મોદીએ પંકજ પટેલનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, એક જમાનામાં નવનિર્માણ આંદોલન વખતે હું, પંકજ પટેલ અને નરહરિ અમીન એકસાથે હતા. જોગાનુજોગ આજે ત્રણેય આ કાર્યક્રમમાં ભેગા થયા છીએ.

