અમદાવાદઃ એક બાજુ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર શરૂ થયો, ત્યારે બીજી બાજુ ભાજપના સાંસદ મનસુખ વસાવાએ એલાન કર્યું કે, તેમને હવે આગામી લોકસભાની ચૂંટણી લડવી નથી. આ જોતાં ભાજપે હવે ભરૂચ બેઠક પર નવા સાંસદની શોધખોળ આદરવી પડશે.
સાંસદ મનસુખ વસાવા ભાજપના આખાબોલા નેતા તરીકેની ઓળખ ધરાવે છે. એકાદ-બે દિવસ પહેલાં જ તેમણે ઉમેદવારોની પસંદગીનાં ધારાધોરણોને લઈને પ્રદેશ નેતૃત્વ સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, ‘જીતી શકે તેને ટિકિટ આપવી જોઈએ. નિયમો જ ભાજપને હરાવશે.’ હવે સાંસદ મનસુખ વસાવાનું કહેવું છે કે, ભારતીય જનતા પાટીએ મને ઘણું બધું આપ્યું છે. હવે પાર્ટી નવા યુવાનોને તક આપે. ભાજપ મારા પછી યુવા કાર્યકરોને તૈયાર કરે’. હવે લોકસભાની આઠમી વખત ચૂંટણી લડવી નથી. નોધનીય છે કે, વર્ષ 1998થી મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠકમાં 7 ટર્મથી સાંસદ રહ્યા છે. વર્ષ 1995માં તેઓ રાજપીપળા વિધાનસભામાં ધારાસભ્ય હતા. આ ઉપરાંત કેશુભાઈની સરકારમાં વસાવા મંત્રી પણ રહી ચૂક્યા છે.

