સુરતઃ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે આપમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે. વોર્ડ નં. 12માં ટિકિટ ફાળવણી થયા બાદ પણ નારાજ ઉમેદવાર ડોક્ટર પ્રીતિ સદાદિયાએ રાજીનામું આપી દીધું હતું. આ સાથે અન્ય 500 જેટલા સક્રિય કાર્યકરોએ સામૂહિક રીતે પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આમ આદમી પાર્ટીએ સુરત મનપાની ચૂંટણી માટે જાહેર કરેલા 98 ઉમેદવારો પૈકી કેટલાંક વિવાદિત નામ હોવાથી પાર્ટી માટે કમર કસનારા કાર્યકરોમાં અંદરખાને ભારે નારાજગી છે.
ડો. પ્રીતિ વ્યવસાયે હોમિયોપેથ ડોક્ટર છે અને તેમની સામાજિક પકડને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તેમને ટિકિટ આપી છે. અગાઉ આમ આદમી પાર્ટીએ તેમને વોર્ડ નંબર 12થી ઉમેદવાર જાહેર કર્યાં હતાં, પરંતુ પક્ષમાં આંતરિક અસંતોષ અને મતભેદોના કારણે તેમણે રાજીનામું આપીને કોંગ્રેસનો પંજો પકડ્યો હતો.

