જૂનાગઢઃ અમરેલી, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં સિંહના હુમલામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સિંહના માણસ પર હુમલાની 46 દિવસમાં આ નવમી ઘટના છે. જેમાં 8નાં મોત અને એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત થયો છે. આ દરમિયાન 9 જુલાઈએ અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના અંટાળિયા ગામ નજીક રેવન્યૂ અને રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં ગેરકાયદે સિંહદર્શન કરવા ગયેલા 21 વર્ષીય સોહિલ મેમણ નામના યુવકને સિંહે ફાડી ખાધો, તો 11 જુલાઈએ કાકાની આંગળી પકડી ગિરનારની સીડી ચડતાં એક બાળકનું સિંહે મારણ કર્યું છે.
ગેરકાયદે સિંહદર્શનની કિંમત મોત
પ્રાથમિક માહિતી મુજબ 9 જુલાઈએ સિંહ-સિંહણના મેટિંગ પિરિયડ દરમિયાન કેટલાક યુવકો ગેરકાયદે સિંહદર્શન કરવા જંગલની નજીક પહોંચી ગયા હતા. આ દરમિયાન સિંહોએ અચાનક હુમલો કરતાં સોહિલ મેમણને ઢસડીને દૂર સુધી ખેંચી લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાના પગલે લીલિયા વનવિભાગ અને પોલીસની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે હુમલા બાદ સિંહો અત્યંત આક્રમક સ્થિતિમાં હોવાથી તેઓ મૃતકનો મૃતદેહ છોડવા તૈયાર નહોતા. ત્યારબાદ વનવિભાગે સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશ કરીને ભારે જહેમત બાદ મૃતદેહને સિંહોથી છોડાવ્યો હતો.
હવે ગિરનાર પર પણ મારણ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી પરિવારના 12 વર્ષના બાળક પર સિંહે અચાનક હુમલો કર્યો હતો. બાળક મયુરસિંહ કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતો હતો, તે દરમિયાન સિંહ ખેંચી ગયો હતો. પરિવારજનોએ જઈને તપાસ કરતાં જંગલમાંથી બાળકના અવશેષો મળ્યા હતા. વન વિભાગ, પોલીસ અને ટ્રેકર્સની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું અને એક સિંહને પકડી પાડ્યો હતો. પશુચિકિત્સકે કરેલી તપાસ દરમિયાન સિંહની ઊલટીથી માનવ શરીરનાં અંગો મળી આવ્યાં હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદ સિંહને પણ પકડી લેવાયા છે. તેમને વધુ તપાસ અને પરીક્ષણ માટે સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય ખાતે ખસેડાયા છે.

