TRP ગેમઝોન કેસમાં 5 ઓફિસર ઘરભેગા

Wednesday 15th July 2026 05:24 EDT
 
 

અમદાવાદઃ રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો પિટિશનની સુનાવણી દરમિયાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખુલાસો કરાયો. સરકારી વકીલે ચીફ જસ્ટિસની બેન્ચ સમક્ષ સોગંદનામું રજૂ કરી જણાવ્યું કે, અગ્નિકાંડ અંગેની આંતરિક વિભાગીય તપાસ પૂર્ણ થયા બાદ બેદરકાર અને કસૂરવાર અધિકારીઓ સામે ગુજરાત સિવિલ સર્વિસ નિયમો હેઠળ કડક અને ઐતિહાસિક શિસ્તભંગનાં પગલાં લેવાયાં છે.
કોર્ટને આપવામાં આવેલી માહિતી મુજબ આ કાંડમાં સંડોવાયેલા ટાઉન પ્લાનિંગ અને ફાયર વિભાગના કુલ 5 અધિકારીને સરકારી સેવાથી કાયમ માટે બરતરફ કરી દેવાયા છે અને ભવિષ્યમાં કોઈપણ સરકારી નોકરી મેળવવા માટે પણ અયોગ્ય જાહેર કર્યા છે. જ્યારે અન્ય એક અધિકારીને સેવાથી દૂર કરાયા છે.
ડિસમિસ કરવામાં આવેલા અધિકારીઓમાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી, આસિસ્ટન્ટ એન્જિનિયર મૂકેશ મકવાણા અને જયદીપ બાબુલાલ ચૌધરી, રાજેશ મકવાણા અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાનો સમાવેશ થાય છે.
મનસુખ સાગઠિયા સામે આકરા દંડની માગ
તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા જૂન 2026માં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. તેમની સામે તપાસ ચાલુ હોવાથી તેમને પ્રોવિઝનલ પેન્શન જ મળશે, તેમની સામે આકરા દંડની માગ કરાઈ છે.


comments powered by Disqus