ભુજઃ કચ્છ યુનિવર્સિટીએ સંશોધનક્ષેત્રે વધુ એક સિદ્ધિ મેળવી છે. યુનિવર્સિટીના સંશોધકોએ સ્ટીવિયાના છોડથી મળતા કુદરતી ગળપણનો ઉપયોગ કરીને સ્વીટનર (ખાંડનો વિકલ્પ) તૈયાર કરવાની નવી પદ્ધતિ વિકસાવી છે, જેના માટે ભારતીય પેટન્ટ 10 જુલાઈએ પ્રકાશિત થઈ છે.
આ સંશોધનનો મુખ્ય હેતુ એવો કુદરતી સ્વીટનર તૈયાર કરવાનો છે, જે ખાંડ કરતાં 200થી 300 ગણું વધુ મીઠું હોય પણ તેમાં કેલરી લગભગ ન હોય અને બ્લડ શુગર પણ ન વધે. તેથી ભવિષ્યમાં આ પદ્ધતિ ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી બની શકે છે.
સંશોધકોના જણાવ્યા મુજબ આ સંશોધનમાં સ્ટીવિયાના પાનથી મળતાં મીઠાશવાળાં તત્ત્વોને વધુ શુદ્ધ સ્વરૂપમાં તૈયાર કરાયાં છે. ત્યારબાદ તેને અન્ય જરૂરી ઘટકો સાથે ભેળવીને કુદરતી સ્વીટનરનું ફોર્મ્યુલેશન તૈયાર કરાયું છે. કચ્છમાં આ છોડની ખેતી પણ કરી શકાય તેવી વિપુલ પ્રમાણમાં તક છે.
સ્ટીવિયા આધારિત ઉત્પાદનોનું વૈશ્વિક બજાર હાલમાં 0.9થી 1 અબજ ડોલર (રૂ. 8500 કરોડ)નું છે અને દરવર્ષે 10થી 12 ટકાના દરે વધી રહ્યું છે. અન્ય અંદાજ મુજબ વર્ષ 2031 સુધીમાં સ્ટીવિયા બજાર 1.4 અબજ ડોલર સુધી પહોંચી શકે છે.

