ગાંધીનગરઃ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાઇરસનો આતંક જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી છે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ચાંદીપુરા વાઇરસના કારણે 13 જુલાઈ સુધી કુલ 12 બાળકનાં મોત થયાં છે, જેમાં 3 પોઝિટિવ અને 9 શંકાસ્પદ લક્ષણ ધરાવતાં બાળકનાં મોત થયાં છે. હાલ 2 પોઝિટિવ બાળક ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય 5 શંકાસ્પદ બાળકો અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોગ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાની સત્તાવાર માહિતી અને લેબોરેટરી રિપોર્ટના આધારે રાજ્યમાં અત્યાર સુધી 3 બાળકનાં મોત ચાંદીપુરા વાઇરસ પોઝિટિવ આવવાના કારણે થયાં છે, જેમાં પંચમહાલના ગોધરા ખાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન 2 બાળકનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજસ્થાનના 1 બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ તેનું મોત થયું હતું.
વાઈરસનું સંકટ વધ્યું
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. રાજ્યમાંથી અત્યાર સુધી 27 સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા, જેમાંથી 19 સેમ્પલની તપાસ પૂર્ણ થઈ છે અને તેમાં 7 સેમ્પલ પોઝિટિવ નોંધાયા છે. પોઝિટિવ આવેલા 7 દર્દીમાં 3 બાળકનાં મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે 4 બાળક હાલમાં સારવાર હેઠળ છે.

